- આ મેદાન પર છેલ્લી મેચ 12 જૂને રમાઈ હતી
- સ્ટેડિયમને 6 અઠવાડિયામાં તોડી પાડવામાં આવશે
- સ્ટેડિયમને બનાવવામાં 106 દિવસનો સમય લાગ્યો હતો
આ વખતે T20 વર્લ્ડકપની યજમાની યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. અમેરિકામાં પ્રથમ વખત T20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ન્યુયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યું હતું. જે વર્લ્ડકપની શરૂઆતથી જ ચર્ચાનો વિષય રહ્યો છે. જેનું કારણ નાસાઉની પીચ છે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી તમામ મેચો લો સ્કોરિંગ રહી છે. આ મેદાન માત્ર 106 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આ અંગે ઘણી ચર્ચાઓ પણ થઈ હતી. હવે આ સ્ટેડિયમને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારત અને યુએસએ વચ્ચે છેલ્લી મેચ આ મેદાન પર 12 જૂને રમાઈ હતી.
સ્ટેડિયમને 6 અઠવાડિયામાં તોડી પાડવામાં આવશે
નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમને બનાવવામાં 106 દિવસનો સમય લાગ્યો હતો. જે હવે 6 અઠવાડિયામાં તોડી પાડવામાં આવશે. અહેવાલ મુજબ, ભારત અને યુએસએ વચ્ચેની મેચ બાદ આ સ્ટેડિયમને તોડી પાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમની પીચો અંગે ICC અધિકારીઓએ કહ્યું કે જો નાસાઉ કાઉન્ટીના અધિકારીઓ તેને રાખવા માંગતા હોય તો તેઓ તેમ કરી શકે છે. જો આમ નહીં થાય તો આ પિચોને પરત મોકલી દેવામાં આવશે.
અંબાણી ભવિષ્યમાં નવું સ્ટેડિયમ બનાવી શકે છે
અગાઉ આ સ્ટેડિયમમાં મેજર લીગ ક્રિકેટ (MLC) મેચો રમવાની યોજના હતી. પરંતુ MLC અધિકારીઓ આ અંગે બહુ ઉત્સાહિત ન હતા. મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો MLC બેઝ ન્યૂયોર્કમાં છે. હવે આશા છે કે અંબાણી ભવિષ્યમાં નવું સ્ટેડિયમ બનાવશે.
નાસાઉની પીચો ચર્ચામાં રહી
નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમની પિચો જ્યારથી વર્લ્ડકપ શરૂ થયો ત્યારથી સમાચારોમાં છે. આ પીચ પર રન બનાવવામાં બેટ્સમેનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર માત્ર 108 રન રહ્યો છે. ગઈ કાલે યુએસએ દ્વારા આપવામાં આવેલા 111 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાને પણ પરસેવો પાડવો પડ્યો હતો.