- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે
- આ સિરીઝ સિનિયર ખેલાડીઓની વાપસી જોવા મળી શકે
- આ સિરીઝમાં હાર્દિક પંડ્યાને ટીમનો કપ્તાન બનાવી શકે છે
ટીમ ઈન્ડિયા હાલ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, જ્યાં 5 મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બે મેચ રમાઈ છે, જેમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી છે અને સિરીઝ હાલમાં ટાઈ થઈ છે. હજુ ત્રણ મેચ બાકી છે. આ પછી ટીમે આ મહિને બીજી સિરીઝ રમવાની છે. એવું માનવામાં આવે છે કે જે ખેલાડીઓ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતી ચૂક્યા છે તેઓ આ સિરીઝનો ભાગ હશે. T20માં ભારતનો કાયમી કેપ્ટન કોણ હશે તે પણ જાણવા મળશે.
T20 મેચની સીરીઝ જુલાઈમાં જ યોજાશે
T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતનાર મોટાભાગના ભારતીય ખેલાડીઓ હાલમાં આરામ પર છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ હવે T20Iમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે, પરંતુ બાકીના ખેલાડીઓ ટૂંક સમયમાં પરત ફરશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી T20 મેચ 10 જુલાઈએ રમાશે. આ પછી, છેલ્લી બે મેચ પણ 13 અને 14 જુલાઈએ યોજાશે. આ પછી ભારતીય ટીમ વાપસી કરશે. જુલાઈમાં જ ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ પણ રમાવાની છે. આ માટે ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. જો કે આ સિરીઝનું સત્તાવાર શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે.
સીરીઝનું શેડ્યૂલ આ પ્રકારનું હોઈ શકે છે
જાણવા મળ્યું છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે. આ પછી, બીજી મેચ 28 જુલાઈએ રમાશે, ત્રીજી અને છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે. સિરીઝમાં માત્ર ત્રણ T20I મેચ રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની બાકી છે. હાલમાં ઝિમ્બાબ્વે સિરીઝ માટે સુકાનીપદની જવાબદારી શુભમન ગિલ પાસે છે. પરંતુ શક્ય છે કે હાર્દિક પંડ્યા શ્રીલંકા સિરીઝમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. જસપ્રિત બુમરાહ, રિષભ પંત અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓ પણ આ સિરીઝમાં વાપસી કરતા જોવા મળી શકે છે.
ઓગસ્ટમાં શ્રીલંકા સામે વનડે સિરીઝ પણ રમાશે
શ્રીલંકા સિરીઝ દરમિયાન ત્રણ વનડે મેચો પણ યોજાવાની છે, જે 2 થી 7 ઓગસ્ટ વચ્ચે રમાઈ શકે છે. આ વનડે સિરીઝ ઘણી મહત્વની રહેશે. કારણ કે વિરાટ કોહલી, રોહિત શર્મા આ સિરીઝમાં વાપસી કરી શકે છે. આ માટેની ટીમ પણ હજુ જાહેર કરવાની બાકી છે. માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા આ સિરીઝની કેપ્ટનશીપ કરી શકે છે. આ સીરીઝ એટલા માટે મહત્વની રહેશે કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન થવાનું છે, જે ODI ફોર્મેટ પર હશે. ટીમ ઈન્ડિયા અને BCCI આ સિરીઝથી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ શરૂ કરવાનો પ્રયાસ કરશે.