• પાકિસ્તાનને T20 વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો
  • અત્યાર સુધી ટીમ બે મેચ રમી છે અને બંને મેચમાં હાર
  • શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ટીમ અંગે આપ્યું મોટું નિવેદન

T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલત ફરી એકવાર ખરાબ થતી જોવા મળી રહી છે. ટીમે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત અમેરિકા સામે રમીને કરી હતી, જેમાં તેને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પાકિસ્તાન ટીમ ઈન્ડિયા સામે બીજી મેચ હારી ગયું. ટીમની સતત બે હાર બાદ પાકિસ્તાનના ઘણા પૂર્વ ખેલાડીઓ સવાલો ઉઠાવી રહ્યા છે જેમાં શાહિદ આફ્રિદી પણ સામેલ છે. આફ્રિદીએ પાકિસ્તાની ટીમને ચેતવણી આપતા કહ્યું કે તે વર્લ્ડકપ પછી ખુલીને વાત કરશે.

પાકિસ્તાનની ટીમમાં વિવાદ

વાસ્તવમાં, આ દિવસોમાં ઘણા અહેવાલો છે કે પાકિસ્તાન ટીમમાં કેપ્ટન બાબર આઝમ અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી વચ્ચે બધુ બરાબર નથી, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને ખેલાડીઓ એકબીજા સાથે વાત પણ નથી કરી રહ્યા. આ અંગે આફ્રિદીએ કહ્યું કે વર્લ્ડકપ પછી તે એવા લોકોને જાહેર કરશે જેમણે પાકિસ્તાન ક્રિકેટને બરબાદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

શાહીન ઘણું બધું જાણે છે

આફ્રિદીને શાહીન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે કહ્યું, "તે ઘણું બધું જાણે છે અને હું પણ, પરંતુ અમે ખુલીને વાત કરી શકતા નથી. હું વર્લ્ડકપ પછી ખુલીને વાત કરીશ. આપણા જ લોકોએ આ યુનિટને બરબાદ કરી દીધું છે." તેણે આગળ કહ્યું, "જો હું કોઈ વાતની વાત કરું તો લોકો કહેશે કે હું મારા જમાઈને સપોર્ટ કરું છું. જો કે, હું એવું કરી રહ્યો નથી. જો મારી દીકરી, દીકરો કે જમાઈ ખોટો હોય તો હું પણ હું તેમને ખોટો કહીશ."

પાકિસ્તાન તેની આગામી મેચ કેનેડા સામે રમશે

નોંધનીય છે કે પાકિસ્તાનની ટીમ આજે કેનેડા સામે વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજની આગામી એટલે કે ત્રીજી મેચ રમશે. સુપર-8માં સ્થાન મેળવવા માટે ટીમે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. જો બાબર સેના કેનેડા સામેની મેચ પણ હારી જશે તો તેને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડશે.

  • Follow us on: