- T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન
- ગિલની આગેવાનીમાં ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે
- આ સિરીઝમાં ભારતીય ટીમ 5 T20 મેચ રમશે
બાર્બાડોસમાં T20 વર્લ્ડકપ જીતીને ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં 11 વર્ષ બાદ ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો હતો. T20 વર્લ્ડકપની ફાઇનલ મેચ સાથે જ ભારતીય ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સાથે ટીમના કેપ્ટનની સાથે ઓપનર, નંબર 3 અને લેફ્ટ આર્મ ઓલરાઉન્ડરની જગ્યાઓ ખાલી થઈ ગઈ છે.
ભારતની નવી ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 5 મેચની T20 સિરીઝ રમશે. આ સિરીઝમાં BCCI અહીંથી ત્રણેય માટે વિકલ્પ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આમાં સૌથી મોટો સંઘર્ષ T20Iમાં કેપ્ટનશિપને લઈને છે.
હાર્દિક સિવાય ગિલ પણ કેપ્ટનનો દાવેદાર
શુભમન ગિલ પોતાની બેટિંગ કૌશલ્ય સાબિત કરી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી T20 અને ODI ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરી છે અને તે સતત ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. જો કે, તેનું બેટ થોડા સમય માટે શાંત થઈ ગયું હતું, જેના કારણે તેને T20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા પણ ન મળી. હવે તેની પાસે ફરી એકવાર પોતાની તાકાત બતાવવાની તક છે. આ પ્રવાસમાં તે પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરવા જઈ રહ્યો છે.
પાંચ મેચની સિરીઝમાં સફળતાની સાથે તે હાર્દિક પંડ્યાને પણ નુકસાન પહોંચાડી શકે છે, જે પહેલાથી જ કેપ્ટનશિપનો સૌથી મોટો દાવેદાર હતો. તેનું સૌથી મોટું કારણ પંડ્યાની ઈજા છે. પંડ્યા ઘણીવાર ઈજાના કારણે બહાર રહે છે. આવી સ્થિતિમાં BCCIને રોહિત શર્માના મજબૂત વિકલ્પની જરૂર છે. ગિલ BCCIના ફિટનેસથી લઈને બેટિંગ સુધીના તમામ માપદંડો પર ફિટ બેસે છે. આ સિવાય તે નાની ઉંમરમાં જ ભારતીય ક્રિકેટનો મોટો ચહેરો બની ગયો છે.
ગિલને કેપ્ટનશિપનો કેટલો અનુભવ છે?
શુભમન ગિલ આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. અગાઉ, તેણે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની વિદાય બાદ IPL 2024માં ગુજરાત જાયન્ટ્સનું નેતૃત્વ સંભાળ્યું હતું. કેપ્ટનશિપના મામલે આ સિઝન તેના માટે સારી ન હતી. તેની ટીમનું પ્રદર્શન સારું નહોતું અને તે માત્ર 5 મેચ જીતી શકી હતી, જેના કારણે તે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. આ પહેલા તે અંડર-19માં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હતો. 2019 માં, તેને સ્થાનિક ક્રિકેટમાં દુલીપ ટ્રોફી ઇન્ડિયા બ્લુ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેણે દેવધર ટ્રોફીમાં ઈન્ડિયા C ટીમની કેપ્ટનશિપ પણ કરી છે.
ગિલ રોહિત શર્માનું સ્થાન લેવા માંગે છે
ઝિમ્બાબ્વે વિરૂદ્ધ સિરીઝ શરૂ થાય તે પહેલા શુભમન ગિલે રોહિત શર્માની જગ્યા લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે રોહિત શર્મા ઓપનિંગ કરતો હતો. T20 વર્લ્ડકપમાં પણ વિરાટ કોહલીએ ઓપનિંગ કર્યું હતું. હવે તે T20માં ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવા માંગે છે. જો કે, ગિલના મતે, બંને ખેલાડીઓના સ્તર સાથે મેળ બેસવો મુશ્કેલ છે, પરંતુ તે દબાણ વિના આ પડકારોને પાર કરવા માટે તૈયાર છે.