- સનસિટી વિસ્તારમાં ગાડી ડૂબી જાય એટલું પાણી ભરાયું
- માંજલપુર અને વડસરમાં હજુ પાણી ઓસર્યા નથી
- આ વિસ્તારના કોર્પોરેટરો ટ્રેક્ટર લઈનો પહોંચ્યા હતા
વિશ્વામિત્રીમાં 20 વર્ષમાં 9 વખત પૂર આવ્યું છે અને 2024માં ફરીથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. 20 વર્ષ બાદ વિશ્વામિત્રીના પાણી માંજલપુર, વાસણા રોડ, સન ફાર્મા રોડ, તાંદલજા રોડ અને કારેલીબાગની સોસાયટીઓમાં પ્રવેશ્યા છે. 72 કલાક પાણી નહીં ઉતરતા હવે શહેર લશ્કરના હવાલે છે. જો કે લોકોને હજુ વિશ્વામિત્રીની સપાટી વધશે, આજવાથી ફરી પાણી છોડાશે, ઘરમાં વધુ પાણી ભરાશે તેની ચિંતા સતાવી રહી છે. સોમવારે 16 કલાકમાં 12.30 ઈંચ વરસાદ અને ઉપરવાસના વરસાદથી આજવામાંથી કલાકે 45 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું.
નદીની સપાટી 20 વર્ષમાં પહેલી વખત 37 ફૂટને પાર જતા પહેલી વખત માંજલપુર, વાસણા રોડ, સન ફાર્મા રોડ તાંદલજા રોડ અને કારેલીબાગની સોસાયટીઓના મકાનોમાં પાણી ભરાયા હતા. તંત્રે પૂરની જાહેરાત કરી પરંતુ નવા વિસ્તારોમાં પાણી ઘૂસવાનો અંદાજ ન હતો. 72 કલાકે શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી. શહેરમાં પાલિકા, ફાયર બ્રિગેડ, NDRF, SDRF કામ કરે છે પરંતુ બુધવારે લશ્કર પહોંચ્યું છે. રાજ્યમાં વડોદરાની સ્થિતિ સૌથી ખરાબ હોવાથી મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા.













