ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર વચ્ચેના કથિત 'કોલ્ડવોર'માં ગામના વિકાસકામોનું સૂરસૂરિયું થઈ ગયું છે. ગામમાં ૩૬ લાખના ખર્ચે મંજૂર થયેલા પુલનું કામ એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી 'એપ્રોચ રોડ' વગર અધ્ધરતાલ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, જ્યાં ત્રણ ગાળાના પુલની જરૂર હતી, ત્યાં તંત્રએ માત્ર એક ગાળાનો પુલ બનાવી સંતોષ માની લીધો છે.
ચોમાસામાં પાણી ભરાવાની અને પુલ તૂટી જવાની પૂરેપૂરી શક્યતા છે
પરિણામે, ચોમાસામાં પાણી ભરાવાની અને પુલ તૂટી જવાની પૂરેપૂરી શક્યતા છે, ગામની દુર્દશા જોઈને લાચાર બનેલા સરપંચે હવે રાજીનામું ધરી દેવાની તૈયારી બતાવી છે, જે વહીવટી તંત્ર માટે શરમજનક બાબત છે, માર્ગ મકાન વિભાગના ઇજનેરો જ્યારે એમ કહે છે કે "મંજૂરી મુજબ જ કામ થયું છે", ત્યારે સવાલ એ થાય છે કે શું આ મંજૂરી જનતાને હેરાન કરવા માટે અપાઈ હતી? જો પુલ પરથી ગાડું પણ ન નીકળી શકતું હોય અને એપ્રોચ રોડ વગર પુલ માત્ર શોભાના ગાંઠિયા જેવો હોય, તો પ્રજાના પરસેવાની કમાણીના ૩૬ લાખ રૂપિયા પાણીમાં નાખવાનો અધિકાર તમને કોણે આપ્યો?......
જનતા આ રાજકીય ખેલનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે
નેતાઓ પોતાની સર્વોપરિતા સાબિત કરવાના અહમમાં એટલા અંધ બની ગયા છે કે, તેમને જનતાની તકલીફો દેખાતી નથી. ચોમાસું માથે છે, પુલ અધૂરો છે અને જો ગામ સંપર્કવિહોણું બનશે તો તેની જવાબદારી શું એસી ઓફિસમાં બેસતા અધિકારીઓ લેશે કે પછી એકબીજા પર કાદવ ઉછાળતા નેતાઓ? મીઠાપુરની જનતા આજે આક્રોશમાં છે. આ માત્ર એક પુલનું કામ નથી, પણ તંત્રની નિષ્ફળતા અને નેતાઓની સ્વાર્થબુદ્ધિનું પ્રદર્શન છે. જો વહેલી તકે આ 'લોટ-પાણીને લાકડા' જેવું કામ સુધારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં જનતા આ રાજકીય ખેલનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે.









