ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતાઓને પગલે વહીવટી તંત્ર અને બંદર વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયા છે. તેજ પવન ફૂંકાવાની અને દરિયો તોફાની બનવાની હવામાન વિભાગની આગાહીને પગલે સુવિખ્યાત વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવી દેવામાં આવ્યું છે.
દરિયામાં ગયેલી બોટોને તાત્કાલિક પરત બોલાવાઈ
બંદર પર 3 નંબરનું સિગ્નલ લાગતાં જ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે કડક તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, હાલમાં જે બોટો દરિયામાં મચ્છીમારી માટે ગયેલી છે, તેમને તાત્કાલિક અસરથી સુરક્ષિત રીતે કાંઠે પરત લાવવા માટે સૂચના જાહેર કરી દેવાઈ છે. બંદરે કાંઠે ઊભેલી તમામ બોટોને પણ તીવ્ર પવન સામે રક્ષણ મેળવવા મજબૂત રીતે બાંધી રાખવા આદેશ અપાયા છે.

