ગુજરાતમાં ચોમાસું 2026 સંપૂર્ણ રીતે જામ્યું રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલના સત્તાવાર રિપોર્ટ અનુસાર તા. 27 જુલાઈ, 2026 ના રોજ સવારે 06:00 કલાક સુધીમાં રાજ્યમાં કુલ એકંદર 493.31 મીમી વરસાદ નોંધાયો છે, જે સીઝનના સરેરાશ વરસાદ (909 મીમી) ની સામે 54.28 ટકા જેટલો થાય છે.
પ્રદેશવાર વિગતો દર્શાવે છે કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1201.51 મીમી (77.92 ટકા) વરસાદ વરસ્યો છે. આ સિવાય પૂર્વ-મધ્ય ગુજરાતમાં 373.27 મીમી (45.58 ટકા), સૌરાષ્ટ્રમાં 333.43 મીમી (43.75 ટકા), ઉત્તર ગુજરાતમાં 301.32 મીમી (41.25 ટકા) અને કચ્છ વિસ્તારમાં 95.20 મીમી (19.05 ટકા) સરેરાશ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકની સ્થિતિ: 137 તાલુકામાં વરસાદ, કપરાડામાં 3.90 ઈંચ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 28 જિલ્લાના 137 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમાં રાજ્યનો સરેરાશ વરસાદ 05.50 મીમી નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 99 મીમી (3.90 ઈંચ) ખાબક્યો હતો.

આ ઉપરાંત બનાસકાંઠાના અમીરગઢમાં 80 મીમી (3.15 ઈંચ), ડીસામાં 72 મીમી (2.83 ઈંચ), વાવ-થરાદના રાહમાં 61 મીમી (2.40 ઈંચ) અને મહેસાણામાં 45 મીમી (1.77 ઈંચ) વરસાદ વરસ્યો છે. તા. 27 જુલાઈ, 2026 ના રોજ સવારે 06:00 થી 10:00 કલાક દરમિયાન અમીરગઢમાં 42 મીમી અને અમદાવાદના દસ્ક્રોઈમાં 39 મીમી વરસાદ નોંધાયો છે.

જળાશયોની સ્થિતિ, નર્મદા ડેમ 69.25 ટકા ભરાયો, રાજ્યના 21 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 231,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ ક્ષમતાના 69.25ટકા દર્શાવે છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક આવક નોંધાઈ રહી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 253,336 mcft (45.41 ટકા) પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યના કુલ 13 ડેમ 100 ટકા સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 26 ડેમ 70 ટકા થી 100 ટકા વચ્ચે ભરાયા છે. હાલમાં રાજ્યના 21 ડેમ હાઈ એલર્ટ પર, 05 ડેમ એલર્ટ પર અને 13 ડેમ વોર્નિંગ લેવલ પર મૂકવામાં આવ્યા છે. ધાતરવડી, સૂરજવડી, ધોલી, રોજકી, શેત્રુંજી, ફતેહગઢ, વણાકબોરી, મચ્છુ-II, ઝૂઝ અને કેલિયા ડેમ 100ટકા ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યા છે.

બચાવ અને રાહત કામગીરી: 53,117 લોકોનું સ્થળાંતર અને 8,080 નું સફળ રેસ્ક્યુ
ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 53,117 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 8,080 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લામાંથી સૌથી વધુ 21,028 લોકોનું સ્થળાંતર અને 3,125 લોકોનું રેસ્ક્યુ, નવસારીમાંથી 16,470 નું સ્થળાંતર તથા સુરતમાંથી 8,586 લોકોનું સ્થળાંતર અને 3,439 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF ની 17 ટીમો અને SDRF ની 33 પ્લાટૂન પ્રભાવિત જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે.

વીજ પુરવઠો, વાહન વ્યવહાર અને એસ.ટી. બસ સેવા પર અસર
ભારે વરસાદને કારણે R&B વિભાગ હેઠળના કુલ 208 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં 12 સ્ટેટ હાઈવે, 171 પંચાયત રસ્તા અને 02 નેશનલ હાઈવે બંધ છે. વીજ કંપની (GUVNL) ના રિપોર્ટ મુજબ અસરગ્રસ્ત 4,291 ગામડાઓમાંથી 4,275 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.

ગુજરાત એસ.ટી. નિગમ (GSRTC) ની 1,102 ટ્રીપો રદ કરવી પડી છે અને 164 રૂટ પ્રભાવિત થયા છે, જેનાથી નિગમને અંદાજે રૂ. 29,99,471 નું આવકનું નુકસાન થયું છે. આ ઉપરાંત, હવામાન વિભાગ (IMD) દ્વારા માછીમારોને દરીયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે.

ખરીફ વાવેતરની સ્થિતિ: રાજ્યમાં 59.59ટકા વિસ્તારમાં વાવેતર સંપન્ન
ચોમાસાના સારા આગમનને પગલે રાજ્યમાં ખરીફ પાકોનું વાવેતર ઉત્સાહજનક રીતે આગળ વધી રહ્યું છે. 20-07-2026 ની સ્થિતિએ રાજ્યના સરેરાશ વાવેતર વિસ્તાર (8,530,803 હેક્ટર) ની સામે 5,083,079 હેક્ટર એટલે કે 59.59 ટકા વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જેમાં મગફળીનું 86.05ટકા (1,648,115 હેક્ટર), કપાસનું 78.71ટકા (1,875,844 હેક્ટર), સોયાબીનનું 88.40ટકા (248,651 હેક્ટર) અને મકાઈનું 77.50ટકા (219,462 હેક્ટર) વાવેતર પૂર્ણ થયું છે.




આ પણ વાંચો - Banaskantha Rain Update: પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદથી આફત, પાલનપુર-અંબાજી હાઈવે પર ભરાયા પાણી