અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં મેઘરાજાએ અતિરૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બપોર બાદ શરૂ થયેલા અનરાધાર અને મુશળધાર વરસાદે આખા ધારી શહેર અને ગ્રામ્ય પંથકને પાણી-પાણી કરી દીધું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના હેઠળ 7 જુલાઈના રોજ અમરેલી જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક રજા જાહેર કરી દેવામાં આવી છે.
ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામો એલર્ટ
ધારી પંથકમાં થયેલા ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની પ્રચંડ આવક થતાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડેમના 9 દરવાજા 3.04 મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા છે. આ સાથે જ નદી કાંઠાના અને નીચાણવાળા તમામ ગામોને હાઈ-એલર્ટ કરી લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સખત અપીલ કરવામાં આવી છે.
