જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે અને ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને માંગરોળના હુસેનાબાદ ગામમાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સંદેશ ન્યૂઝની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા હુસેનાબાદથી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી.
નોળી નદીના ધસમસતા પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા
ભારે વરસાદને પગલે સ્થાનિક નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના ધસમસતા પાણી હુસેનાબાદ ગામના વાડી વિસ્તારમાં અને રહેણાંક મકાનો તરફ વળી ગયા હતા. જોતજોતામાં પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ચારેય તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.
