આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં આભ ફાટતાં 10 ઇંચ જેટલો ખાબકેલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે આખું બોરસદ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના જે મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા તેનો પરપોટો પહેલા જ ભારે વરસાદમાં ફૂટી ગયો છે. તંત્રની કાગળ પરની કામગીરી સામે સ્થાનિક રહીશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાટલા અને વન તળાવ ઓવરફ્લો: મુખ્ય રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
અવિરત વરસાદના કારણે શહેરના મુખ્ય એવા બાટલા તળાવ અને વન તળાવ છલકાઈને ઓવરફ્લો થઈ ગયા છે. તળાવના પાણી શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ખાસ કરીને સૂર્યમંદિરથી તાલુકા પંચાયત જતો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ જતાં આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે.
સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત
વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે.
- અસરગ્રસ્ત વિસ્તારો: તોરણાવ માતા સીમ, અક્ષરનગર, સિંગલાવ રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે.
- સોસાયટીઓમાં હાલાકી: આણંદ ચોકડી નજીક આવેલી ઝવેરી હાઇટ્સ સહિતની અનેક સોસાયટીઓમાં કમરડૂબ પાણી ઘૂસી જતાં લોકોના ઘરવખરીના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે.
https://twitter.com/sandeshnews/status/2080616531164311883
કાગળ પરના દાવા વચ્ચે નાગરિકો ભારે મુશ્કેલીમાં
ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા નાળાસફાઈ અને ડ્રેનેજ લાઈનની સફાઈના મોટા દાવા કરાયા હતા, પરંતુ માત્ર 10 ઇંચ વરસાદે તંત્રની તમામ પોલ ખોલી નાખી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી દૈનિક જનજીવન અત્યંત પ્રભાવિત થયું છે. લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
રોષે ભરાયેલા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, દર વર્ષે વેરો ઉઘરાવતું તંત્ર પ્રિ-મોન્સૂન સફાઈના માત્ર કાગળ પર દાવા કરે છે. આજે તળાવો ઓવરફ્લો થઈને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે છતાં પાલિકાનો કોઈ અધિકારી ડોકિયું કરવા પણ આવ્યો નથી.
આ પણ વાંચો - Anandના બોરસદમાં 24 કલાકમાં 10 ઇંચ ભારે વરસાદથી શહેર પાણીમાં ગરકાવ, તળાવો ઓવરફ્લો થતાં જનજીવન અસ્તવ્યસ્ત