નવસારી જિલ્લામાં આફતરૂપી વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા કલેક્ટરે 24 જુલાઈના રોજ પણ જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અને રજા જાહેર કરવાનો સત્તાવાર આદેશ આપ્યો છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
શહેરનો 40% વિસ્તાર જળમગ્ન, 50,000 લોકો પ્રભાવિત
ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ઘૂસી ગયા છે. નવસારી શહેરનો 40% થી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેનાથી આશરે 50,000 જેટલા લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ખાસ કરીને વિજલપોર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આકાશી દૃશ્યોમાં સમગ્ર શહેર પૂર્ણા નદીના પાણી વચ્ચે ઘેરાયેલું અને વ્યાપક તારાજી સર્જાયેલી જોવા મળી રહી છે.

