પોરબંદર તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ભાદર નદીમાં ઉપરવાસમાંથી મોટો જથ્થો પાણીનો છોડવામાં આવ્યો છે. ભાદર નદીમાં પાણી છોડાવાના કારણે નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે આવેલા માર્ગો પર પૂર જેવા પાણી ફરી વળ્યા છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે સ્થાનિક વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે.
મંડેરથી બગસરા અને ભડથી ચિકાસ જતો રોડ બંધ
નદીના પાણી ફરી વળવાના કારણે અને રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી સુરક્ષાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોરબંદર તાલુકાના મંડેરથી બગસરા તરફ જતો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભડથી ચિકાસ તરફ જતો રોડ પણ સલામતીના કારણોસર બંધ કરાતાં અનેક ગામડાઓનો સંપર્ક પ્રભાવિત થયો છે.
કડછથી અમીપુર કોઝવે સંપૂર્ણપણે જળમગ્ન
ભાદર નદીના પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે, કડછથી અમીપુર તરફ જતો કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે પરથી ભારે માત્રામાં પાણી વહી રહ્યું હોવાના કારણે વાહનચાલકો માટે ત્યાંથી પસાર થવું જોખમી બન્યું હતું. જેને પગલે આ માર્ગ પરનો વાહનવ્યવહાર પણ ઠપ્પ કરી દેવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા સ્થાનિકો અને વાહનચાલકોને સાવચેત રહેવા અપીલ
માર્ગો બંધ થવાના કારણે સ્થાનિક ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોકોને બંધ કરાયેલા રસ્તાઓ પર કે પાણી ભરાયેલા કોઝવે પરથી પસાર ન થવા અને બિનજરૂરી જોખમ ન લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Porbandar: એમ.કે. ગાંધી સ્કુલ ખાતે કલા ઉત્સવ-ઉમંગ યોજાયો