છેલ્લા બે દિવસથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા સતત અનરાધાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની વિકટ સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના અનેક ગામડાઓમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.
સનાથલથી લઈને બગોદરા સુધીનો મુખ્ય હાઈવે બંધ કરાયો
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો મુખ્ય હાઈવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
https://twitter.com/ANI/status/2080913383247970356
હાઈવે જળબંબાકાર
હાઈવે અને નીચાણવાળા માર્ગો પર અતિશય પ્રમાણમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનો ચલાવવા અત્યંત જોખમી બન્યા છે. હાઈવે પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે.

અનેક વાહનો ડૂબી ગયા
હાઇવે પર પાણીનો ભરાવો એટલે વધી ગયો છે કે અનેક વાહનો ડૂબી ગયા છે જેના કારણે સ્થિતી વિકટ બની છે. જિલ્લા પોલીસ પણ તુરત સ્થળ પર પહોંચી હતી અને લોકોને સનાથલ હાઇવેનો ઉપયોગ ના કરવા અપીલ કરી છે. પોલીસે ફસાયેલા મુસાફરોને પણ સલામત સ્થળે ખસેડ્યા હતા
સનાથલ-બગોદરા હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળો
હાઈવે બંધ થતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. આથી વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ હાલ પૂરતો સનાથલ-બગોદરા હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે અને વૈકલ્પિક માર્ગો પસંદ કરે. ઈમરજન્સી સેવાઓ અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે તથા ભરાયેલા પાણી ઓસાડવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?