સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. ભારે વરસાદના બે દિવસ વીતી ગયા હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાંથી હજુ સુધી પૂરના પાણી ઓસર્યા નથી. આ આફત વચ્ચે ડીંડોલી ફાયર વિભાગ દ્વારા એક મોટું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ખાડીના પૂરમાં ડૂબી જવાથી કમનસીબે 3 લોકોના મોત નીપજ્યા છે, જેમના મૃતદેહને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા છે. વહીવટી તંત્રે નાગરિકોને પૂરના પાણી કે ખાડી કિનારે ન જવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા કડક અપીલ કરી છે.

પર્વત ગામથી ગોડાદરા રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ

શહેરના પર્વત ગામથી ગોડાદરા રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે ડુંભાલથી પર્વત ગામનો મુખ્ય રસ્તો સંપર્ક વિહોણો બન્યો છે. રસ્તાઓ પર 6 ફૂટ જેટલા પૂરના પાણી ભરાઈ રહેવાના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને હજારો લોકો પોતાના ઘરોમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને પર્વત પાટિયા વિસ્તારમાં આવેલું માધવબાગ હજુ પણ બેટમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે. 

https://youtu.be/-xSpp6oCPaw 


વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે જનતાનો આક્રોષ

સૌથી વધુ આક્રોશ સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે જોવા મળી રહ્યો છે. પૂરના ૨-૨ દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ ધારાસભ્ય , કોર્પોરેટર કે ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઘટનાસ્થળે ફરક્યા પણ નથી. મુશ્કેલીના આ સમયમાં ફસાયેલા લોકો માટે પીવાના શુદ્ધ પાણી કે ભોજનની કોઈ જ પ્રાથમિક વ્યવસ્થા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. મદદ ન મળવાના કારણે પૂરગ્રસ્તોમાં સરકાર અને મહાનગરપાલિકાના તંત્ર સામે ઉગ્ર રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. 


આ પણ વાંચો----   US Iran War: પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા, અમેરિકા અને ઈરાન વચ્ચે સામ સામે હુમલા, 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર કબ્જા માટે ફરી જંગ શરુ, Video