દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ અને તેના ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે જિલ્લાની તમામ મુખ્ય નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. નદીઓ ઓવરફ્લો થતાં અને કોઝવે તેમજ લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં વલસાડ જિલ્લાના સંપર્ક વિહોણા બનેલા કુલ 117 મુખ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે.

કપરાડા તાલુકામાં 36 રસ્તાઓ બંધ થયા

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ભારે વરસાદના કારણે સૌથી વધુ કપરાડા તાલુકામાં 36 રસ્તાઓ બંધ થયા છે. આ ઉપરાંત પારડી તાલુકામાં 22, વલસાડ તાલુકામાં 21, નાનાપોંઢા પંથકમાં 20, ધરમપુરમાં 10 અને ઉમરગામ તાલુકાના 8 માર્ગો પાણી ભરાઈ જવાના કારણે બંધ કરી દેવાયા છે. રસ્તાઓ બંધ થતાં ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક કપાયો છે અને જનજીવન ભારે પ્રભાવિત થયું છે.

લો-લેવલ બ્રિજ કે કોઝવે પરથી પસાર ન થવા કડક અપીલ

સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા અને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લો-લેવલ બ્રિજ કે કોઝવે પરથી પસાર ન થવા કડક અપીલ કરવામાં આવી છે.

 NDRF અને SDRFની એક ટીમ તૈનાત 

કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા અને બચાવ કામગીરી માટે વલસાડ જિલ્લામાં NDRFની એક અને SDRFની એક ટીમ તૈનાત કરીને હાઈ એલર્ટ પર (સ્ટેન્ડબાય) મૂકી દેવામાં આવી છે. તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરીને પૂરની સ્થિતિ પર પળેપળની નજર રાખવામાં આવી રહી છે. 


આ પણ વાંચો-----     Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!