બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક મહિલા પત્રકારને ટોળાએ ઘેરી લીધી હતી અને થોડા સમય માટે બંધક બનાવી હતી. પોલીસે તેને ભીડથી મહામુશ્કેલીએ બચાવી હતી. આ ઘટના શનિવારે કવારન બજાર વિસ્તારમાં બની જ્યારે ટીવી પર્સનાલિટી મુન્ની સાહા એક મીડિયા કંપનીની ઓફિસમાંથી બહાર નીકળી રહી હતી. ટોળાએ મુન્ની સાહા પર ભારતીય એજન્ટ અને પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના સમર્થક હોવાનો આરોપ લગાવ્યો હતો.
પત્રકાર મુન્ની સાહાની કારને ટોળાએ રોકી હતી
સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, પત્રકાર મુન્ની સાહાની કારને ટોળાએ રોકી હતી અને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે ઢાકા મેટ્રોપોલિટન પોલીસને દરમિયાનગીરી કરવા જણાવ્યું હતું. સાહા પોલીસની કારમાં સ્થળ પરથી નીકળી ગયા, જ્યારે ભીડ તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી રહી. સાહાને પહેલા તેજગાંવ પોલીસ સ્ટેશન અને ત્યાંથી ઢાકા મેટ્રોપોલિટન ડિટેક્ટીવ બ્રાન્ચની ઓફિસ લઈ જવામાં આવ્યા. આનાથી તેની ધરપકડ કરવામાં આવી હોવાની ઓનલાઈન અટકળોને વેગ મળ્યો હતો.
પોલીસે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે વરિષ્ઠ પત્રકાર મુન્ની સાહાની અટકાયત કરવામાં આવી ન હતી
જોકે, પોલીસે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે વરિષ્ઠ પત્રકાર મુન્ની સાહાની અટકાયત કરવામાં આવી ન હતી, અને રવિવારે સવારે તેને મુક્ત કરવામાં આવ્યા હતા. સાહાએ જણાવ્યું કે જ્યારે ભીડે તેમને ઘેરી લીધા ત્યારે તેને ગભરાટ થઇ હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું, 'પોલીસે મુન્ની સાહાને કસ્ટડીમાં લીધા નથી. કાવરન માર્કેટમાં લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. સુરક્ષાના કારણોસર તેજગાંવ પોલીસ તેને ડિટેક્ટીવ બ્રાન્ચ ઓફિસમાં લઈ ગઈ હતી.
અધિકારીએ કહ્યું કે મુન્ની સાહા ચાર કેસમાં આરોપી છે
અધિકારીએ કહ્યું કે મુન્ની સાહા ચાર કેસમાં આરોપી છે. તેમણે જામીન મેળવવા અને ભાવિ પોલીસ સમન્સનું પાલન કરવા કોર્ટમાં હાજર રહેવું પડશે. પત્રકાર સાહાને હેરાન કરનાર ટોળા સામે કાર્યવાહી કરવા અંગે પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. બાંગ્લાદેશમાં હસીના સરકારના પતન બાદ પત્રકારોને ટોળાએ નિશાન બનાવવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.
ડઝનબંધ પત્રકારોએ ટીકા, પક્ષપાતના આરોપો અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે ઘણા પત્રકારોની માન્યતા રદ કરી દીધી છે અને પોલીસે ઘણા લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે. તાજેતરના દિવસોમાં, મોટા મીડિયા હાઉસની ઓફિસની બહાર વિરોધ જોવા મળી રહ્યો છે.