દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી છે. શનિવારે સવારે વેનેઝુએલામાં ફરી એકવાર ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી છે. વૈજ્ઞાનિકો આને મુખ્ય ભૂકંપ પછીના 'આફ્ટર શોક' તરીકે જોઈ રહ્યા છે. આ નવા ઝટકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


અત્યાર સુધીમાં 920 થી વધુ લોકોના મોત 


વેનેઝુએલામાં અગાઉ આવેલા 7.2 અને 7.5 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપે આખા દેશને હચમચાવી દીધો છે. આ આફતમાં અત્યાર સુધીમાં 920 થી વધુ લોકોના મોત થયાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 3 હજારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ પણ હજારો લોકો લાપતા છે, જેમના મલબા નીચે દબાયા હોવાની આશંકા છે. ભૂકંપના કારણે અનેક શહેરો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા છે અને ચારેય તરફ માત્ર કાટમાળ જ જોવા મળી રહ્યો છે.

4.9 ની તીવ્રતાના ઝટકાએ બચાવ કામગીરીમાં મોટી અડચણ ઊભી કરી


દેશ હજુ આ વિનાશમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં જ શનિવારે સવારે આવેલા 4.9 ની તીવ્રતાના ઝટકાએ બચાવ કામગીરીમાં મોટી અડચણ ઊભી કરી છે. જે ઇમારતો પહેલાથી જ નબળી પડી ગઈ હતી, તે આ આફ્ટર શોકના કારણે ધરાશાયી થવાનો ભય વધી ગયો છે. હોસ્પિટલો ઘાયલોથી ઉભરાઈ રહી છે અને મેડિકલ સ્ટાફ ટૂંકો પડી રહ્યો છે.

યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી 


સરકાર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સેના અને સ્થાનિક તંત્ર કાટમાળ હટાવીને જીવતા લોકોને બહાર કાઢવાના ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ વેનેઝુએલાની મદદે આવ્યો છે, પરંતુ સતત આવી રહેલા આફ્ટર શોક્સના કારણે લોકો ખુલ્લા આકાશ નીચે રાતો વિતાવવા મજબૂર બન્યા છે.

  • Follow us on: