કેનેડામાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો ઉપર હુમલો કરવાનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. કેનાડાના વેનકુવરમાં રોસ સ્ટ્રીટ ગુરુદ્વારા પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સમર્થકોએ અહીં ગ્રેફિટી સાથે ખાલિસ્તાની સૂત્રો લખ્યા છે. આ ઘટના બાદ શીખ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના માટે શીખ અલગાવવાદીઓના એક નાના જૂથને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.


શીખ સમુદાયમાં ભાગલા અને ભય પેદા કરવાનો પ્રયત્ન

મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે શનિવારે ગુરુદ્વારામાં તોડફોડની ફરિયાદ મળ્યા પછી તપાસ શરૂ કરવામાં આવી છે. વેનકુવર પોલીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે પોલીસ ગુરુદ્વારા પર લખેલા સૂત્રની તપાસ કરી રહી છે. જો કે આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ નથી. આ ઘટના બાદ રોસ સ્ટ્રીટ ગુરુદ્વારા ચલાવતી ખાલસા દિવાન સોસાયટીએ તેને શીખ સમુદાયમાં ભય અને વિભાજન પેદા કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ ઘટના બાદ આસપાસમાં રહેતા લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે.

શાંતિનું વાતાવરણ જાળવવા કરી અપીલ

સોસાયટીએ આ ઘટનાને શીખ સમુદાયમાં ભય ફેલાવવા માટે ઉગ્રવાદી દળો દ્વારા ચાલી રહેલા અભિયાનના ભાગ રૂપે વર્ણવી હતી. સોસાયટીએ એક નિવેદન આપતા કહ્યું, "તેમના કાર્યો શીખ ધર્મ અને કેનેડિયન સમાજની સમાવેશકતા, આદર અને પરસ્પર સહયોગની મૂળભૂત ભાવનાને નબળી પાડે છે." સોસાયટીએ તમામ કેનેડિયન નાગરિકોને ઉગ્રવાદ સામે મજબૂતીથી ઉભા રહેવા અને સમાજમાં શાંતિનું વાતાવરણ જાળવવા અપીલ કરી.

  • Follow us on: