પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તીવ્ર અમેરિકા-ઈરાન યુદ્ધ અને સંઘર્ષો વચ્ચે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વની તેલ જરૂરિયાતનો મોટો હિસ્સો પૂરો પાડતી 'હોર્મુઝ સ્ટ્રેટ' પહેલેથી જ બંધ થઈ ચૂકી છે, અને હવે ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા સામે કાર્યવાહી કરતા ઉર્જા અને વેપાર માટેના બીજા અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ' પર પણ નાકાબંધી લાદી દીધી છે. આ ઘટનાક્રમે વૈશ્વિક શિપિંગ અને ઉર્જા બજારમાં ભારે હલચલ મચાવી દીધી છે.

બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ કરાયો બંધ

યમનના હુથી બળવાખોરો દ્વારા ત્વરિત અસરથી લાગુ કરાયેલી આ નૌકાદળની નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ અને ગેસના જહાજોની અવરજવરમાં ભારે વિક્ષેપ પડવાની પૂરી શક્યતા છે. બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ એ લાલ સમુદ્રને એડેનના અખાત અને હિંદ મહાસાગર સાથે જોડતો મુખ્ય દરિયાઈ માર્ગ છે, જે સુએઝ નહેરના દક્ષિણ પ્રવેશદ્વાર તરીકે પણ કામ કરે છે. વૈશ્વિક દરિયાઈ વેપારનો આશરે 10 થી 12 ટકા હિસ્સો આ માર્ગ દ્વારા થાય છે. નિષ્ણાતોના અહેવાલો અનુસાર, જો આ માર્ગ પરનો અવરોધ લાંબો સમય ચાલશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના ભાવ પ્રતિ બેરલ 200 ડૉલર સુધીની ઊંચી સપાટીએ પહોંચી શકે છે.

સંકટ અન્ય દેશો માટે ચિંતાનો વિષય

આ સંકટ ભારત જેવા વિકાસશીલ દેશ માટે અત્યંત ચિંતાનો વિષય છે. ભારત તેની કુલ તેલ જરૂરિયાતના 85 ટકાથી વધુ ભાગ વિદેશોમાંથી આયાત કરે છે અને હોર્મુઝ તેમજ બાબ-અલ-મંડેબ જેવા માર્ગો પર મોટે ભાગે નિર્ભર છે. ભારતીય રિફાઇનર્સ આ માર્ગ દ્વારા યુરોપિયન દેશોને રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનો મોકલે છે. ભારતનો આશરે 95 ટકા વેપાર સમુદ્ર માર્ગે થાય છે, અને સુએઝ નહેર તથા બાબ-અલ-મંડેબ મળીને ભારતના કુલ વિદેશી વેપારના આશરે 35 ટકાનું સંચાલન કરે છે.

યુરોપમાં નિકાસ થતી ચીજવસ્તુઓ સામે ગંભીર જોખમ

યુરોપમાં નિકાસ થતી આશરે 80 ટકા ભારતીય ચીજવસ્તુઓ, જેમાં કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, મશીનરી અને બાસમતી ચોખા જેવા કૃષિ ઉત્પાદનો સામેલ છે, તે લાલ સમુદ્ર પ્રદેશમાંથી જ પસાર થાય છે. આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો બંધ થવાથી ભારતની આયાત-નિકાસ અને ઉર્જા સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું છે.

આ પણ વાંચોઃ Donald Trump નો ટેરિફ બોમ્બ ફૂટ્યો, હવે આ દેશ પર લાદ્યો 50 ટકા ટેરિફ