બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન તારિક રહેમાને પોતાના પ્રથમ વિદેશી પ્રવાસ તરીકે ચીનની પસંદગી કરી હતી, પરંતુ હજુ સુધી તેમણે ભારતની મુલાકાત લીધી નથી. ભારત સરકારે જુલાઈ મહિનામાં તેમને દિલ્હી ખાતે યોજાનાર બ્રિક્સ (BRICS) શિખર સંમેલનનું સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હતું. જોકે, બાંગ્લાદેશ સરકારે સંકેત આપ્યા છે કે શેખ હસીના અંગેના અસંતોષને કારણે તેઓ સપ્ટેમ્બરમાં બ્રિક્સ માટે દિલ્હી નહીં આવે, પરંતુ તે પહેલાં ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં દ્વિપક્ષીય વાટાઘાટો માટે દિલ્હી આવી શકે છે.
દિલ્હી-ઢાકા સંબંધોમાં મોટી હિલચાલ
બાંગ્લાદેશી દૈનિક 'પ્રથમ આલો'ના અહેવાલ મુજબ, દિલ્હી અને ઢાકા વચ્ચે આ પ્રવાસ અંગે સક્રિય ચર્ચા ચાલી રહી છે. બાંગ્લાદેશ સરકારે ભારત સામે વિરોધ નોંધાવ્યો છે કે નવી દિલ્હીમાં આશ્રય લઈ રહેલાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને રાજકીય પ્રવૃત્તિઓ કરવાની અને સમયાંતરે નિવેદનો આપવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ઢાકા આ મુદ્દે ભારત સરકાર પાસેથી નક્કર આશ્વાસન અને શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે.
