પરિવારે આરોપ લગાવ્યો છે કે, નકલી પિઝા ડિલિવરી ઓર્ડર દ્વારા એકાંત સ્થળે બોલાવીને તેની હત્યા કરાઇ હતી.
અમેરિકામાં હત્યા બાદ સનસનાટી
તેલંગાણાના 28 વર્ષીય ભારતીય અંશુલ કુંચાની અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે પાર્ટ-ટાઇમ પિઝા ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. પરિવારનો આરોપ છે કે તેને નકલી પિઝા ડિલિવરી ઓર્ડર દ્વારા એકાંત સ્થળે લલચાવીને જાળમાં ફસાવી દેવામાં આવ્યો હતો. અને બાદમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ભારતીય દૂતાવાસ આ મામલે પરિવાર અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. અને ઘટનાની તપાસ કરાઇ રહી છે.
મૃતકના પરિવારનો આરોપ
શનિવારે રાત્રે અંશુલને ફિલાડેલ્ફિયાના એકાંત વિસ્તારમાં પિઝા ડિલિવરીનો ઓર્ડર મળ્યો હતો. જ્યારે અંશુલ ત્યાં પહોંચ્યો ત્યારે એક અજાણ્યા હુમલાખોરે તેના પર ફાયરિંગ કર્યુ હતુ. હુમલાખોરે અંશુલના માથામાં ગોળી મારી અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ ઘટનામાં અંશુલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ. અંશુલના પરિવારે આ સમગ્ર ઘટના એક સુનિયોજિત કાવતરું હોવાનું કહ્યુ છે. અંશુલ છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં રહેતો હતો. તે એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતો હતો અને વધારાની આવક મેળવવા માટે સપ્તાહના અંતે પાર્ટ-ટાઇમ પિઝા ડિલિવરી બોય તરીકે પણ કામ કરતો હતો.
ફાયરિંગની ઘટનામાં કાવતરાની શંકા કેમ ?
પરિવારનું કહેવું છે કે, હત્યા પછી અંશુલનો કોઈ સામાન ચોરાઈ ગયો ન હતો. તેનો સામાન સુરક્ષિત હતો. આ જ કારણ છે કે, પરિવારને શંકા છે કે આ માત્ર લૂંટ નહોતી, પરંતુ તેને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી હતી. પરિવારના જણાવ્યા મુજબ, ઘટના સમયે બેગ લઈને જતા બે માસ્ક પહેરેલા માણસો પણ તે વિસ્તારમાં જોવા મળ્યા હતા. અંશુલની બહેન, તન્વીએ કહ્યું કે, પિઝા ડિલિવરી ઓર્ડર એક જાળ હતો. તેણીએ સમજાવ્યું કે, જે જગ્યાએ અંશુલને મોકલવામાં આવ્યો હતો ત્યાં કોઈ ગ્રાહક નહોતા. બાદમાં, ખબર પડી કે તે નકલી ઓર્ડર હતો અને અંશુલને ત્યાં લલચાવીને મારી નાખવાની યોજના ઘડવામાં આવી હતી.
મૃતકના બહેનની અપીલ
તન્વીએ સમજાવ્યું કે, અંશુલને અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સમાં લૂંટવામાં આવ્યો હતો. તે ઘટનામાં, તેની ચેઇન, મોબાઇલ ફોન અને રોકડ ચોરી થઈ હતી. પરંતુ તેને શારીરિક નુકસાન થયું ન હતું. પરિવારે અધિકારીઓને વિનંતી કરી છે કે, અંશુલના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત મોકલવામાં આવે. જેથી અંતિમ સંસ્કાર કરી શકાય. મૃતકની બહેન તન્વીએ અપીલ કરી છે કે, માતાપિતાએ તેમના બાળકોને યુનાઇટેડ સ્ટેટ્સ મોકલતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ.
ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યો શોક
આ દરમિયાન, ન્યૂ યોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે કહ્યું કે, તે સ્થાનિક વહીવટીતંત્ર અને અંશુલના પરિવાર સાથે સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યું છે. અંશુલના મૃત્યુથી યુનાઇટેડ સ્ટેટ્સમાં તેલુગુ સમુદાય અને તેલંગાણાના ગુંડલાપોચમ્પલ્લી પ્રદેશમાં શોકનો માહોલ છે. પરિવાર, મિત્રો અને સ્થાનિકો આ ઘટનાથી આઘાતમાં છે.
આ પણ વાંચોઃ શું તમે પણ આઈસ્ક્રીમના નામે ખાઈ રહ્યા છો ઝેર?, ન્યુટ્રિશનિસ્ટની મોટી ચેતવણી













