બ્રિટનના કેમ્બ્રિજશાયરમાં પહેલું હિંદુ મંદિર બનાવવાની યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. અહીંની સાઉથ કેમ્બ્રિજશાયર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે મંદિર માટે માંગવામાં આવેલી જમીન હિંદુ સંગઠનને આપવાના બદલે ચર્ચના નેતૃત્વ હેઠળના એક પ્રોજેક્ટને આપવાનો નિર્ણય કર્યો છે. આ જમીન 999 વર્ષની લાંબી લીઝ પર આપવામાં આવશે, જેમાં ચર્ચની સાથે સ્થાનિક મુસ્લિમ સમુદાય માટે નમાજ પઢવાની જગ્યા અને એક શિક્ષણ કેન્દ્ર પણ બનાવવામાં આવશે. કાઉન્સિલના આ નિર્ણયથી સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે નારાજગી અને નિરાશા વ્યાપી ગઈ છે.

મૂલ્યાંકનમાં હિંદુ સંગઠનને ઓછા માર્ક્સ મળ્યા

નોર્થસ્ટો શહેરના સ્થાનિક હિંદુઓએ 'હિંદુ સમાજ નોર્થસ્ટો' (HSN) નામની એક ચેરિટી બનાવીને આ જમીન પર મંદિરની સાથે એક વેલનેસ સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, કાઉન્સિલની તપાસ સમિતિએ HSN ના પ્રસ્તાવને 65% માર્ક્સ આપ્યા, જ્યારે 'નોર્થસ્ટો ચર્ચ નેટવર્ક' (NCN) ના પ્રસ્તાવને 81% માર્ક્સ મળ્યા હતા. આ માર્કિંગના આધારે જમીન ચર્ચ નેટવર્કને સોંપી દેવામાં આવી છે. NCN ની આ યોજનામાં સ્થાનિક મુસ્લિમ સમુદાય માટે કાયમી ઇસ્લામિક પ્રાર્થના ખંડનો સમાવેશ થાય છે, કારણ કે ત્યાં 200 થી વધુ મુસ્લિમો રહે છે અને તેમને નમાજ માટે કાયમી જગ્યાની જરૂર છે.

પારદર્શિતા પર સવાલ અને હિંદુઓની હાલાકી

HSN ના પ્રમુખ અપર્ણા નિગમ-સક્સેનાએ આ સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવ્યા છે અને નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાની તૈયારી દર્શાવી છે. તેમનું કહેવું છે કે નાણાકીય રેકોર્ડની અછતના બહાને તેમને ઓછા માર્ક્સ અપાયા, જે અંગે અગાઉ કોઈ સ્પષ્ટ દિશાનિર્દેશ નહોતા.

નોંધનીય છે કે કેમ્બ્રિજશાયરમાં ઘણા ચર્ચ અને મસ્જિદો છે, પરંતુ એક પણ હિંદુ મંદિર નથી. અહીં રહેતા હિંદુ પરિવારોને પૂજા કરવા માટે બર્મિંગહામ કે લંડનના વેમ્બલી સુધી બે કલાકની મુસાફરી કરવી પડે છે. કાયમી મંદિર ન હોવાથી ગણેશ ઉત્સવ અને મહાશિવરાત્રી જેવા તહેવારો યોગ્ય રીતે ઉજવી શકાતા નથી અને પૂજાની મૂર્તિઓ ગેરેજ કે બેગમાં રાખવી પડે છે. સ્થાનિક યુવા પેઢી પણ આ કારણે પોતાની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓથી દૂર થઈ રહી છે. બીજી તરફ, કાઉન્સિલના સભ્ય ડૉ. લિસા રેડરપે નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે તમામ અરજીઓનું મૂલ્યાંકન સમાન માપદંડો અને નાણાકીય સજ્જતાના આધારે જ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:USમાં 45 ડિગ્રી તાપમાનથી લોકો હેરાન, સ્વતંત્રતા દિવસની પરેડ રદ, AC ચલાવવા પર રાજકારણ ગરમાયું