વેનેઝુએલામાં નવા વર્ષના બીજા દિવસે સર્જાયેલી રાજકીય અને સૈન્ય ઘટનાએ વૈશ્વિક સ્તરે ચિંતા ફેલાવી છે. અમેરિકાની કાર્યવાહી બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ થતાં ત્યાંની પરિસ્થિતિ રાતોરાત બદલાઈ ગઈ. આ ઘટનાને લઈને ભારતે પણ સત્તાવાર રીતે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.


ભારતનું મહત્વપૂર્ણ નિવેદન

ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લક્ઝમબર્ગની મુલાકાત દરમિયાન આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભારત વેનેઝુએલાની વર્તમાન પરિસ્થિતિને લઈને ગંભીર રીતે ચિંતિત છે અને તમામ પક્ષોને સંવાદ અને ચર્ચા દ્વારા ઉકેલ લાવવા અપીલ કરે છે. જયશંકરે ખાસ કરીને વેનેઝુએલાના સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સ્થિરતા પર ભાર મૂક્યો હતો.

વિદેશ મંત્રીનું શું કહેવું ?

વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને વેનેઝુએલા વચ્ચે વર્ષોથી મિત્રસભર અને મજબૂત સંબંધો રહ્યા છે. તેથી ભારત ઇચ્છે છે કે ત્યાં શાંતિ જળવાઈ રહે અને લોકો કોઈપણ પ્રકારની હિંસા અથવા અસુરક્ષાનો શિકાર ન બને. તેમના જણાવ્યા અનુસાર સંઘર્ષ અને દબાણના બદલે વાતચીત જ સૌથી યોગ્ય માર્ગ છે.

 દ્વિપક્ષીય બેઠક બાદ નિર્ણય

આ નિવેદન લક્ઝમબર્ગના નાયબ વડા પ્રધાન તથા વિદેશ મંત્રી ઝેવિયર બેટ્ટેલ સાથે થયેલી દ્વિપક્ષીય બેઠક બાદ આપવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. આ પહેલાં ભારતીય વિદેશ મંત્રાલયે પણ સત્તાવાર નિવેદન જારી કરીને વેનેઝુએલાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે કારાકાસ સ્થિત ભારતીય દૂતાવાસ વેનેઝુએલામાં રહેતા તમામ ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં છે. સુરક્ષા કારણોસર ભારતીય નાગરિકોને હાલ પૂરતું વેનેઝુએલાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત, વિદેશ મંત્રાલયે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે જેથી જરૂર પડે ત્યારે ભારતીય નાગરિકોને તાત્કાલિક સહાય મળી શકે. હેલ્પલાઇન નંબર છે: +58-412-9584288.

આ પણ વાંચો : Americaના મિનેપોલિસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઇમિગ્રેશન ઓપરેશન.


  • Follow us on: