મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ભભૂકી રહેલા યુદ્ધની જ્વાળાઓમાં હજારો નિર્દોષ લોકો ફસાયા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ કટોકટીના સમયે ભારત સરકારે અત્યંત સક્રિયતા દાખવીને પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુરુવારે જારી કરાયેલા અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 880 ભારતીયો સફળતાપૂર્વક સ્વદેશ પરત ફર્યા છે.


આર્મેનિયા અને અઝરબૈજાન બની નવી જીવનરેખા

યુદ્ધને કારણે મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમનું હવાઈ ક્ષેત્ર (Airspace) સંપૂર્ણપણે બંધ કરી દીધું છે, જેના કારણે સીધી ફ્લાઈટ્સ દ્વારા ભારતીયોને લાવવા અશક્ય બન્યા હતા. આ કપરા સમયમાં ભારત સરકારે વૈકલ્પિક માર્ગો શોધ્યા છે. પરત ફરેલા 880 નાગરિકોમાંથી 772 લોકો આર્મેનિયા થઈને આવ્યા છે, જ્યારે 110 લોકો અઝરબૈજાન ના માર્ગે ભારત પહોંચ્યા છે. આ પડોશી દેશો દ્વારા તૈયાર કરાયેલ કોરિડોર ભારતીયો માટે જીવનરેખા સાબિત થઈ રહ્યો છે.

યાત્રાળુઓ અને વિદ્યાર્થીઓની સ્થિતિ

સરકારે માહિતી આપી છે કે ઈરાનમાં ફસાયેલા 284 ભારતીય યાત્રાળુઓમાંથી લગભગ તમામની સુરક્ષિત વાપસી થઈ ગઈ છે. જોકે, હજુ પણ ચિંતાનો વિષય એ છે કે આશરે 9,000 ભારતીય નાગરિકો હજુ પણ ઈરાનના વિવિધ ભાગોમાં હાજર છે. ભારતીય દૂતાવાસો આ તમામ સાથે સતત સંપર્ક જાળવી રહ્યા છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એડવાઈઝરી જારી કરી છે.

સરકારની સજ્જતા અને હેલ્પલાઈન

વિદેશ મંત્રાલયે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોની મદદ માટે 24x7 કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન નંબરો સ્થાપિત કર્યા છે. સરકાર દ્વારા ભારતીયોને કડક સૂચના આપવામાં આવી છે કે સરહદ પાર કરતા પહેલા અથવા કોઈપણ મુસાફરી કરતા પહેલા સ્થાનિક દૂતાવાસનો સંપર્ક અવશ્ય કરવો. બાકી રહેલા નાગરિકોને પણ તબક્કાવાર રીતે બહાર કાઢવા માટે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચોઃ Iran વિરુદ્ધ 6 શક્તિશાળી દેશો એકજૂથ, દરિયાઈ માર્ગે રક્ષણ આપવા લશ્કરી કવાયત

  • Follow us on: