મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ભભૂકી રહેલા યુદ્ધની જ્વાળાઓમાં હજારો નિર્દોષ લોકો ફસાયા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ કટોકટીના સમયે ભારત સરકારે અત્યંત સક્રિયતા દાખવીને પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુરુવારે જારી કરાયેલા અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 880 ભારતીયો સફળતાપૂર્વક સ્વદેશ પરત ફર્યા છે.
આર્મેનિયા અને અઝરબૈજાન બની નવી જીવનરેખા
યુદ્ધને કારણે મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમનું હવાઈ ક્ષેત્ર (Airspace) સંપૂર્ણપણે બંધ કરી દીધું છે, જેના કારણે સીધી ફ્લાઈટ્સ દ્વારા ભારતીયોને લાવવા અશક્ય બન્યા હતા. આ કપરા સમયમાં ભારત સરકારે વૈકલ્પિક માર્ગો શોધ્યા છે. પરત ફરેલા 880 નાગરિકોમાંથી 772 લોકો આર્મેનિયા થઈને આવ્યા છે, જ્યારે 110 લોકો અઝરબૈજાન ના માર્ગે ભારત પહોંચ્યા છે. આ પડોશી દેશો દ્વારા તૈયાર કરાયેલ કોરિડોર ભારતીયો માટે જીવનરેખા સાબિત થઈ રહ્યો છે.










