પાકિસ્તાન દ્વારા એક અત્યંત ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે મે 2025માં ભારત સાથે થયેલા યુદ્ધ દરમિયાન ઈરાને ઈસ્લામાબાદને "મજબૂત ટેકો" આપ્યો હતો. પાકિસ્તાનનો આ દાવો ઈરાનના સત્તાવાર વલણથી એકદમ વિપરિત છે, કારણ કે ભૂતકાળમાં સંઘર્ષ દરમિયાન ઈરાને પોતાને એક "તટસ્થ" દેશ તરીકે રજૂ કર્યો હતો અને બંને પડોશી દેશોને સંયમ રાખવા તેમજ તણાવ ઓછો કરવા માટે અપીલ કરી હતી. તેમ છતાં, પાકિસ્તાને હવે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ સંકટના સમયમાં ઈરાન તરફથી તેમને ભરપૂર સહયોગ મળ્યો હતો.

ભારત સામેના યુદ્ધમાં ઇરાને કર્યો હતો ટેકો

આ બાબતનો ખુલાસો પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઈશાક ડારે કર્યો છે. તેમણે પાકિસ્તાન-ઈરાન સંબંધોની સ્થિતિ અંગે રાષ્ટ્રીય સભાને આપેલા એક લેખિત જવાબમાં આ વાત કહી છે. ઈશાક ડારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં બંને દેશોના સંબંધોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે જૂન 2025માં થયેલા સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ઈરાનને મજબૂત રાજદ્વારી અને રાજકીય ટેકો પૂરો પાડ્યો હતો, અને બદલામાં મે 2025ના ભારત સાથેના સંઘર્ષ વખતે ઈરાને પણ પાકિસ્તાનને મજબૂત ટેકો આપ્યો હતો.

ઇરાન ભારત સાથે સંબંધો સારા ઇચ્છે છે

જોકે, પાકિસ્તાની વિદેશ મંત્રીનું આ નિવેદન ઈરાન માટે અસ્વસ્થતાજનક સાબિત થઈ શકે છે, કારણ કે ઈરાન ભારત સાથે પણ સારા સંબંધો જાળવી રાખવા માંગે છે. આ વિવાદાસ્પદ દાવા અંગે ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મા અંગે નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે.

બે અઠવાડિયા પહેલા લીધી હતી ઇરાનની મુલાકાત

એવું પણ સામે આવ્યું છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મે 2025ના ભારત-પાકિસ્તાન સંઘર્ષના લગભગ બે અઠવાડિયા પછી જ ઈરાનની સત્તાવાર મુલાકાત લીધી હતી. ઈશાક ડારના જણાવ્યા મુજબ, આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત સામેના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને સમર્થન આપવા બદલ ઈરાની નેતૃત્વનો આભાર વ્યક્ત કરવાનો હતો. જો કે, ડારે પોતાના નિવેદનમાં એ સ્પષ્ટ નથી કર્યું કે આ "મજબૂત સમર્થન"નો અર્થ રાજદ્વારી, ગુપ્તચર કે લશ્કરી સહાયમાંથી કયા પ્રકારનું સમર્થન હતો.

આ પણ વાંચોઃ Visa cancellation: 2,00,000 લોકોના વિઝા રદ્દ કરવાની તૈયારીમાં ટ્રમ્પ, ભારત પર શું અસર પડશે?