ભારતમાં ઈઝરાયલના રાજદૂત રુવેન અઝારે તાજેતરમાં પ્રતિષ્ઠિત મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાની સંયુક્ત લશ્કરી કાર્યવાહી માટેનો "યોગ્ય સમય" ત્યારે જ મળ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા હતા.

મુલાકાત દરમિયાન કોઈ નિર્ણય લેવાયો નહોતો

રાજદૂત અઝારે સ્પષ્ટતા કરી હતી કે પીએમ મોદી જ્યારે 25 અને 26 ફેબ્રુઆરીએ તેલ અવીવમાં હતા, ત્યારે ઈરાન પર હુમલો કરવાનો કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. મુલાકાત દરમિયાન પ્રાદેશિક સ્થિતિ અને ભારત-ઈઝરાયલ વચ્ચેની "ખાસ વ્યૂહાત્મક ભાગીદારી" પર ચર્ચા થઈ હતી, પરંતુ સુરક્ષાના કારણોસર કોઈપણ સંભવિત લશ્કરી હુમલાની માહિતી શેર કરવામાં આવી નહોતી.

ઓપરેશન એપિક ફ્યુરી

વડાપ્રધાન મોદીના પરત ફર્યાના બે દિવસ બાદ પરિસ્થિતિનું ગંભીર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે ઈઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે હુમલાને મંજૂરી આપી અને 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા સાથે મળીને ઈરાન પર હુમલો કરવામાં આવ્યો. આ લશ્કરી ઓપરેશનને "ઓપરેશન એપિક ફ્યુરી" નામ આપવામાં આવ્યું હતું.

ભારે જાનહાનિ અને અલી ખામેનેઇનું મૃત્યુ

આ સંયુક્ત હુમલામાં ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ, આ હુમલામાં 1000થી વધુ લોકોના મોત થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની અને તેમના પરિવારના સભ્યોનું પણ આ હુમલામાં મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. ભારત અને ઈઝરાયલ વચ્ચે આ મુલાકાત દરમિયાન 17 મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે બંને દેશોના મજબૂત થતા સંબંધોનું પ્રતીક છે.

s