નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને ચારેય તરફ તબાહી મચાવી છે અને સેંકડો પરિવારોને ઉખેડી નાખ્યા છે, ત્યારે આ ભયાનક આપત્તિ વચ્ચે કેટલાક લોકોના ચમત્કારિક બચાવના અદ્ભુત કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આવો જ એક રોમાંચક અને રુંવાડા ઊભા કરી દેતો કિસ્સો છત્તીસગઢના રાયપુર શહેરના પાંચ મિત્રોનો છે. જો આ યુવાનોએ રસ્તામાં ચા પીવા માટે થોડો સમય રોકાણ ન કર્યું હોત, તો તેઓ કાળમુખા પૂરના પ્રવાહમાં સદંતર તણાઈ ગયા હોત. નેપાળથી સહીસલામત પોતાના વતન પરત ફરેલા આ યુવાનોએ આપવીતી વર્ણવતા રાહતનો શ્વાસ લીધો છે.
પાંચ મિત્રોનો જીવ ચાની ચુસકીએ બચાવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, રાયપુરના માના કેમ્પ વિસ્તારમાં રહેતા નારાયણ સેન, દિનેશ ઓઝા, પ્રેમ સિંહ જગત, યતેન્દ્ર પ્રકાશ અને દિનેશ સિંહ ઠાકુર નામના પાંચ મિત્રોનું જૂથ નેપાળ પ્રવાસે ગયું હતું. આ તમામ મિત્રો ૨૬ ઓગસ્ટના રોજ નેપાળના ધાડિંગ જિલ્લા અંતર્ગત આવતા મલેખુ શહેર પહોંચ્યા હતા. તેમની યોજના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત લેવાની હતી. સવારના આશરે ૯:૩૦ વાગ્યાનો સમય હતો અને તમામ મિત્રોને ચા પીવાની તીવ્ર ઇચ્છા જાગી હતી. જેથી તેઓએ આગળ વધતા પહેલા એક સ્થાનિક હોટલ પર ચા માટે થોડીવાર રોકાવાનું નક્કી કર્યું.
