Franceની રાજધાની પેરિસમાં દેશના પ્રથમ પરંપરાગત BAPS હિન્દુ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. આ સાથે મંદિર હવે દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે. પ્રસંગે યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, આફ્રિકા અને એશિયાથી સંતો-ભક્તો તેમજ અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા.
ભવ્ય નગર યાત્રા યોજાઈ
પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં પેરિસમાં ભવ્ય નગર યાત્રા યોજાઈ. સંગીત, કલા અને ભક્તિમય પ્રસ્તુતિઓ સાથે પરંપરાગત વેશભૂષામાં નૃત્ય કલાકારો જોડાયા હતા. સુંદર રીતે સજાવાયેલા 14 રથોમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને પેરિસના વિવિધ માર્ગો પરથી લઈ જવામાં આવી. એફિલ ટાવર અને એકોલ મિલિટેર થઈ આ યાત્રા પ્લાસ દ લા કોનકોર્ડ ખાતે પૂર્ણ થઈ.

BAPS મંદિરના ઉદ્ઘાટન પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી
PM નરેન્દ્ર મોદીએ આ ભવ્ય પ્રસંગે વિશેષ સંદેશ આપતાં ખુશી વ્યક્ત કરી હતી કે, "પેરિસમાં BAPS મંદિરનું ઉદ્ઘાટન થવું એ ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે. પીએમ મોદીએ ભવિષ્યમાં આ પવિત્ર મંદિરની મુલાકાત લેવાની ઈચ્છા અને આશા પણ દર્શાવી હતી. પેરિસમાં સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ એ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સુદ્રઢ સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક બન્યું છે. આ મંદિર યુરોપમાં ભારતીય મૂલ્યો અને સંસ્કારોની સુવાસ ફેલાવશે."
https://twitter.com/narendramodi/status/2096653733161750925
PM નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, મંદિરનું લોકાર્પણ ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય અને સાંસ્કૃતિક સંબંધોના નવા યુગનો આધારસ્તંભ બન્યું છે. 'વસુધૈવ કુટુંબકમ' (વસુધા જ એક કુટુંબ છે) ની પવિત્ર ભાવનાને વિશ્વમંચ પર જાગૃત કરવાનું એક સશક્ત માધ્યમ બનશે.
મંદિર નિર્માણનો ઈતિહાસ
પેરિસમાં ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ ગુરુ યોગીજી મહારાજે વર્ષ 1970માં કર્યો હતો. ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજે પોતાની આધ્યાત્મિક વિદેશ યાત્રાઓ દરમિયાન ફ્રાન્સમાં સત્સંગની શરૂઆત કરી અને ગુરુના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કાર્ય કર્યું. વર્ષ 2021માં મંદિરનું ભૂમિપૂજન અને 2022માં શિલાન્યાસ વિધિ થઈ હતી. વર્ષ 2026માં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું.
આ પણ વાંચો: Parisના રસ્તાઓ બન્યા ભારતમય, હજારો ભક્તો સાથે ભવ્ય નગરયાત્રા યોજાઈ