વિશ્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આવતા અઠવાડિયે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મહત્વની મંત્રણા યોજાઈ શકે છે. બંને દેશો 14 મુદ્દાના એજન્ડા પર કામ કરી રહ્યા છે, જેનો હેતુ લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને તણાવનો અંત લાવવાનો છે.
14 મુદ્દાના સમજૂતીમાં શું છે ખાસ?
રિપોર્ટ્સ મુજબ, આ પ્રસ્તાવમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અંકુશ, હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ઘટાડવો અને ઈરાન પાસે રહેલા હાઈ-એનરિચ્ડ યુરેનિયમને બીજા દેશમાં મોકલવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ સામેલ છે. જોકે, પ્રતિબંધોમાં રાહત અને પરમાણુ શરતો પર હજુ પણ અંતિમ સહમતી બાકી છે.
મુજતબા ખામેનેઈની રહસ્યમય ભૂમિકા
ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈ અત્યારે રડારની બહાર રહીને તમામ રણનીતિઓ ઘડી રહ્યા છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે મુજતબા યુદ્ધ અને મંત્રણા બંનેમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી રહ્યા છે. નોંધનીય છે કે, પિતાના અવસાન બાદ તેઓ સુપ્રીમ લીડર બન્યા હતા, પરંતુ એક હુમલામાં તેઓ પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ હતા.
ઇલેક્ટ્રોનિક ડિવાઈસથી અંતર અને કડક સુરક્ષા
સુરક્ષાના કારણોસર મુજતબા ખામેનેઈ હાલમાં કોઈ પણ મોબાઈલ ફોન કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા નથી. તેઓ માત્ર સંદેશવાહકો દ્વારા જ સંપર્ક કરે છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમના શરીર પર ઈજાના નિશાન છે પરંતુ તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પજેશ્કિયન સાથે તેમની અઢી કલાક લાંબી બેઠક પણ યોજાઈ હતી.
હવે આખી દુનિયાની નજર ઇસ્લામાબાદ પર છે, શું અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષો જૂની દુશ્મનીનો અંત આવશે?
આ પણ વાંચો:UFO:એલિયન્સ પર અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો,પેન્ટાગને જાહેર કરી 161 રહસ્યમય ફાઈલો!