ઈરાનમાં હાલ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અમેરિકા સાથેના વધતા રાજકીય અને સૈન્ય તણાવ વચ્ચે ઈરાન સરકારે દેશનું સમગ્ર હવાઈ ક્ષેત્ર તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ભારતની મોટી એરલાઇન્સ એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ પણ મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.


એર ઇન્ડિયાનું નિવેદન

એર ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ઈરાનના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે તેમની ઘણી ફ્લાઇટ્સને વૈકલ્પિક રૂટ પરથી ચલાવવી પડી રહી છે. જેના કારણે મુસાફરોને વિલંબનો સામનો કરવો પડી શકે છે. એરલાઇનના જણાવ્યા અનુસાર કેટલીક ફ્લાઇટ્સ એવા રૂટ પર છે જ્યાં ડાયવર્ઝન શક્ય નથી, તેથી તે ફ્લાઇટ્સ રદ પણ કરવામાં આવી છે. એર ઈન્ડિયાએ મુસાફરોને વિનંતી કરી છે કે એરપોર્ટ પર જતાં પહેલા સત્તાવાર વેબસાઇટ અથવા મોબાઇલ એપ પર ફ્લાઇટ સ્ટેટસ જરૂર તપાસે.

ઇન્ડિગોની ટ્રાવેલ એડવાઇઝરી

બીજી તરફ, ઈન્ડિગોએ પણ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરીને જણાવ્યું છે કે ઈરાની હવાઈ ક્ષેત્ર બંધ થવાથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર અસર થઈ શકે છે. આ પરિસ્થિતિ એરલાઇનના નિયંત્રણ બહારની છે. ઈન્ડિગોએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને સહકાર આપવા અપીલ કરી છે.


ઈરાનની અંદરની સ્થિતિ પણ ચિંતાજનક

ઈરાનની અંદરની સ્થિતિ પણ ચિંતાજનક છે. દેશમાં વ્યાપક હિંસા ફેલાઈ ગઈ છે અને અનેક પ્રાંતોમાં આગજની અને અથડામણોની ઘટનાઓ સામે આવી રહી છે. વિરોધ પ્રદર્શનોને કાબૂમાં લેવા માટે ખામેની સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 3,000થી વધુ લોકોના મોત થયા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવાઈ મુસાફરોને સાવચેત રહેવાની અને પોતાની મુસાફરીની યોજના બનાવતા પહેલા એરલાઇનની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : World News : પાલક પનીર ગરમ કરવું પડ્યું ભારે, યુનિવર્સિટીને બે ભારતીયોને ચૂકવવા પડ્યા 1.8 કરોડ રૂપિયા


  • Follow us on: