ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકારના મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામાર બેન-ગ્વિરે એક વિવાદાસ્પદ નિવેદન આપીને નવો હોબાળો મચાવ્યો છે. ભૂતપૂર્વ બંધક રોમ બ્રાસ્લાવસ્કી દ્વારા આયોજિત પોડકાસ્ટમાં ચર્ચા દરમિયાન બેન-ગ્વિરે જાહેરમાં જણાવ્યું હતું કે ગાઝામાં માત્ર તાત્કાલિક ખતરો પેદા કરનારાઓ જ નહીં, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે જીવવાને લાયક નથી અને તેમને જીવતા ન છોડતા દરરોજ રાત્રે 30 થી 40 લોકોને નિશાન બનાવીને મારી નાખવા જોઈએ. પેલેસ્ટિનિયન મીડિયામાં આ ટિપ્પણી વ્યાપકપણે પ્રસારિત થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે આક્રોશ ફેલાયો છે.
ઇઝરાયલના અત્યંત પ્રભાવશાળી નેતાનું નિવેદન
બેન-ગ્વિર ઇઝરાયલના અત્યંત પ્રભાવશાળી નેતાઓમાં ગણાય છે અને તેઓ દેશની જેલો તથા રાષ્ટ્રીય પોલીસ જેવા સુરક્ષા ઉપકરણોનું નિરીક્ષણ કરે છે, જો કે તેમની પાસે સૈનિકોને હુમલો કરવાનો સીધો આદેશ આપવાનો અધિકાર નથી. અગાઉ પણ તેમના આવા કટ્ટરપંથી નિવેદનોની વ્યાપક ટીકા થઈ ચૂકી છે અને સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ અદાલત સમક્ષ નરસંહારના ઇરાદાના પુરાવા તરીકે આવા નિવેદનો રજૂ કરવામાં આવ્યા છે, જો કે ઇઝરાયલ સરકાર ગાઝામાં નરસંહારના આરોપોને સદંતર નકારે છે.
https://twitter.com/clashreport/status/2088689423500067290
