જાપાનમાં વધુ એક વખત ધરતી ધ્રૂજી છે. જાપાનના દક્ષિણ ઇબારાકી પ્રીફેક્ચરમાં સપાટીથી 70 કિલોમીટરની ઊંડાઈએ 5.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઇબારાકી હતું, પરંતુ તેની ગંભીર અસરો રાજધાની ટોક્યો સહિત ચિબા અને સૈતામા વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 
https://twitter.com/surajit_ghosh2/status/2091254460966408589

જાપાનમાં અનુભવાયો 5.9ની તીવ્રતાનો ભૂકંપ

ભૂકંપના કારણે જાપાનના મુખ્ય શહેરોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. ટોક્યોના પૂર્વીય વોર્ડ કોટોમાં ભૂગર્ભ પાણીની મુખ્ય પાઇપલાઇન ફાટી જવાથી હજારો લિટર પાણી રસ્તાઓ પર વહેવા લાગ્યું હતું. આ ઉપરાંત, ટેપકો પાવર ગ્રીડના અહેવાલ મુજબ ટોક્યોમાં આશરે 460 ઘરોનો વીજળી પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો હતો, જોકે તંત્ર દ્વારા ભારે જહેમત બાદ રવિવાર સવાર સુધીમાં વીજળી પુનઃસ્થાપિત કરી દેવામાં આવી હતી. સદનસીબે, જાપાનની હવામાન એજન્સી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ ભૂકંપને કારણે સુનામીનું કોઈ જ જોખમ નથી. ન્યુક્લિયર રેગ્યુલેશન ઓથોરિટીએ પણ પુષ્ટિ કરી હતી કે દેશના પરમાણુ પાવર પ્લાન્ટ્સ અને સંબંધિત સુવિધાઓ સુરક્ષિત છે અને તેમાં કોઈ નુકસાન થયું નથી.
https://twitter.com/HorizonWireHW/status/2091256238218891465

ભૂકંપને કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત 

આ પ્રાકૃતિક આપત્તિને કારણે પરિવહન વ્યવસ્થાને પણ ભારે ફટકો પડ્યો હતો. ટોક્યો અને નરીતા એરપોર્ટ વચ્ચે દોડતી એક્સપ્રેસ ટ્રેનો તેમજ ઉત્તરપૂર્વીય પ્રદેશની અનેક સ્થાનિક ટ્રેનો મોડી પડી હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, શિંકનસેન બુલેટ ટ્રેનોનું સંચાલન સામાન્ય રીતે ચાલુ રહ્યું હતું. અગ્નિ અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર, ઇબારાકી પ્રીફેક્ચરમાં 20 જેટલા લોકો ઘાયલ થયા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ઇજા પામેલા લોકોની વિગતોની તપાસ ચાલી રહી છે.

આ પહેલા પણ અનુભવાયા હતા આચંકા

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે સરકારે સંભવિત નુકસાનનું તાત્કાલિક મૂલ્યાંકન કરવા અને રાહત કામગીરી પર નજર રાખવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે જાપાનમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે, અને ગયા મહિને જ ક્યુશુના કુમામોટો પ્રદેશમાં 7.1 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો જેમાં 38 લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં ઇમારતો ધરાશાયી થઈ હતી.

આ પણ વાંચોઃ Mumbai : ભુલેશ્વર વિસ્તારમાં દુર્ઘટના, ગણેશજીની પ્રતિમા પડતા 2ના મોત