વિમાનમાં આતંકી હુમલો થાય અને મુસાફરો બચી જાય — આવી ઘટના બહુ જ દુર્લભ ગણાય છે. પરંતુ 2 ફેબ્રુઆરી, 2016ના રોજ આકાશમાં જે બન્યું, તેને આજે પણ “ચમત્કારથી ઓછું નહીં” કહેવાય છે. સોમાલિયાના મોગાદિશુથી જીબુટી જઈ રહેલી ડાલો એરલાઇન્સની ફ્લાઇટ 159 પર એક આત્મઘાતી હુમલાખોરે હવામાં જ બોમ્બ વિસ્ફોટ કર્યો, છતાં વિમાનમાં બેઠેલા અન્ય તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો જીવતા બચી ગયા. આ ઘટનામાં હુમલાખોર સિવાય બીજા કોઈને પણ જાનહાનિ થઇ ન હતી, વૈશ્વિક વિમાન સુરક્ષા ઇતિહાસમાં એક આશ્ચર્યજનક ઉદાહરણ બની ગઈ.

લેપટોપ બોમ્બથી કરાયો હુમલો

હુમલાખોરની ઓળખ અબ્દુલ્લાહી અબ્દિસલામ બોરલેહ તરીકે થઈ હતી. તેણે એક લેપટોપમાં વિસ્ફોટકો છુપાવીને વિમાનમાં લઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ મુજબ, તેને ચોક્કસ ખબર હતી કે કયા સ્થાને બેસવું અને વિમાનને વધુ નુકસાન પહોંચાડવા માટે ઉપકરણ કેવી રીતે સક્રિય કરવું.

ઉડાનના 15 મિનિટમાં વિસ્ફોટ

ફ્લાઇટ ટેકઓફ કર્યા બાદ લગભગ 15 મિનિટ પછી, જ્યારે વિમાન લગભગ 11,000 ફૂટની ઊંચાઈએ હતું, ત્યારે વિસ્ફોટ થયો. મહત્વની વાત એ હતી કે આ ઊંચાઈએ વિમાનની કેબિન સંપૂર્ણપણે પ્રેશરાઇઝ્ડ નહોતી. આ જ કારણને કારણે વિસ્ફોટની અસર મર્યાદિત રહી અને આખું વિમાન તૂટી પડવાથી બચી ગયું.

વિમાનમાં પડ્યું મોટું કાણું

વિસ્ફોટના કારણે એરબસ A321 વિમાનની બાજુમાં લગભગ એક મીટર જેટલું મોટું કાણું પડી ગયું. હુમલાખોર તુરંત જ વિમાનમાંથી બહાર ફેંકાઈ ગયો અને તેનું મોત થયું. તેમ છતાં, પાઇલટ્સની ઝડપી સમજદારી અને તાલીમને કારણે વિમાનને સુરક્ષિત રીતે પાછું મોગાદિશુમાં કટોકટી ઉતરાણ કરાવવામાં આવ્યું.

અલ-શબાબે લીધી જવાબદારી

સોમાલિયાના આતંકી સંગઠન અલ-શબાબ એ આ હુમલાની જવાબદારી સ્વીકારી. સંગઠને પોતાના નિવેદનમાં દાવો કર્યો કે તેઓ પશ્ચિમી દેશો, નાટો દળો અને તુર્કી સાથે જોડાયેલા હિતોને નિશાન બનાવી રહ્યા હતા. આ હુમલો પણ તેઓએ “બદલા” તરીકે કર્યો હોવાનું કહ્યું.

ટર્કિશ એરલાઇન્સનો કનેક્શન

ડાલો એરલાઇન્સના વડા મોહમ્મદ ઇબ્રાહિમ યાસીન ઓલાદે ખુલાસો કર્યો હતો કે હુમલાખોર મૂળમાં ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટમાં મુસાફરી કરવાનો હતો, પરંતુ તે ફ્લાઇટ રદ થતાં તેણે ડાલો એરલાઇન્સમાં બુકિંગ કર્યું હતું. આ માહિતીથી એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ અનેક પ્રશ્નો ઊભા થયા હતા.

દુનિયા માટે શીખ

આ ઘટના બાદ એરપોર્ટ સુરક્ષા, ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ અને આંતરિક મદદની શક્યતાઓ અંગે વૈશ્વિક સ્તરે ચર્ચા થઈ. સાથે જ, પાઇલટ્સની કુશળતા અને વિમાનની મજબૂત રચનાએ કેટલાંય લોકોના જીવ બચાવ્યા — જે આ ઘટનાને ખરેખર “ચમત્કારિક” બનાવે છે.

આ પણ વાંચો : Americaમાં વિન્ટર સ્ટોર્મનો કહેર, Air Indiaની ફ્લાઇટ્સ રદ