સિંધુ જળ સંધિને (Indus Waters Treaty) લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવની વચ્ચે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) એ ભારત વિરુદ્ધ એક ખતરનાક કાવતરું ઘડવાનું શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સ અનુસાર, લશ્કરે હવે પરંપરાગત જમીની માર્ગો ઉપરાંત પાણીના રસ્તે ઘૂસણખોરી અને હુમલા કરવાની નવી વ્યૂહરચના અપનાવી છે. આ હેતુ માટે પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoJK) માં આવેલા મંગલા ડેમ વિસ્તારમાં આતંકીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
10 દિવસનો કોર્સ પૂરો, મંગલા ડેમમાં કમાન્ડો ટ્રેનિંગ શરૂ
ખુફિયા એજન્સીઓને મળેલા અહેવાલો મુજબ, લશ્કરના વરિષ્ઠ કમાન્ડર હારિસ દારે એક ટ્રેનિંગ કેમ્પમાં આતંકીઓને સંબોધિત કરતા આ જળમાર્ગ ઓપરેશનનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે આતંકીઓનો 10 દિવસનો પ્રારંભિક કોર્સ પૂરો થઈ ગયો છે અને હવે મંગલા ડેમમાં આગળની એડવાન્સ વોટર-ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે. હારિસ દારે આતંકીઓને ઉશ્કેરતા કહ્યું હતું કે, "હવે અસલી કામ શરૂ થશે, અમે પાણીને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે અને પાણી અંગે આપણો મુખ્ય મુદ્દો ભારત સાથે જ છે." તેણે દાવો પણ કર્યો હતો કે વર્ષ 2026માં પાકિસ્તાન પાણીના મુદ્દે ભારત સામે કોઈ મોટું પગલું ભરી શકે છે.
