બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તીસ્તા નદી પ્રોજેક્ટ બાદ હવે બાંગ્લાદેશે તેના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 'મોંગલા પોર્ટ' (Mongla Port) નજીક ઇકોનોમિક ઝોન વિકસાવવાનો મોટો પ્રોજેક્ટ ભારત પાસેથી છીનવીને ચીનને સોંપી દીધો છે. બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનની ચીનની સત્તાવાર મુલાકાત દરમિયાન બીજિંગમાં ચીનની સરકારી કંપની સાથે આ અંગેના કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.


ભારત પાસેથી કેવી રીતે સરક્યો પ્રોજેક્ટ?

વર્ષ 2015માં તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મોંગલામાં ઇન્ડિયન ઇકોનોમિક ઝોન સ્થાપવા માટે સમજૂતી થઈ હતી. ભારત આ પ્રોજેક્ટ માટે લાઇન ઓફ ક્રેડિટ આપવાનું હતું અને ભારત સરકારે હિરાનંદાની ગ્રુપને આ જમીન વિકસાવવા માટે પસંદ કર્યું હતું. જોકે, 2024માં શેખ હસીનાની સરકારના પતન બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ભારત પર આક્ષેપ કર્યો કે ભારતીય ડેવલપર નિર્ધારિત બે વર્ષમાં કામ શરૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. પરિણામે, ઓક્ટોબર 2025માં બાંગ્લાદેશે આ પ્રોજેક્ટમાંથી ભારતનું નામ હટાવી દીધું હતું. સંબંધોમાં આવેલી આ ખટાશનો ફાયદો ઉઠાવી ચીને તુરંત જ આ 110 એકર જમીન પર ચાઈનીઝ ઈકોનોમિક ઝોન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જે હવે ફાઈનલ થઈ ગયો છે.

ભારત માટે આ કેમ ચિંતાનો વિષય છે?

મોંગલા પોર્ટ બાંગ્લાદેશનું બીજા નંબરનું સૌથી મોટું બંદર છે અને તે કોલકાતાથી માત્ર 188 કિલોમીટર દૂર બંગાળની ખાડી નજીક આવેલું છે.

સમુદ્રી ઘેરાબંધી:

ચીન પહેલેથી જ પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ અને શ્રીલંકામાં હંબનટોટા પોર્ટ પર નિયંત્રણ મેળવી ચૂક્યું છે. હવે પૂર્વમાં બાંગ્લાદેશના મોંગલા પોર્ટ પર ચીનની મજબૂત પકડ થવાથી ભારત ત્રણ તરફથી ચીનથી ઘેરાઈ જશે.

જાસૂસી અને સુરક્ષાનો ખતરો:

ચીન ભલે આને આર્થિક ઝોન ગણાવતું હોય, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે ચીન આવા વ્યાપારી બંદરોનો ઉપયોગ ભારતીય નૌસેનાની જાસૂસી અને હિંદ મહાસાગરમાં પોતાની સૈન્ય હાજરી વધારવા માટે કરે છે.

આ કરાર દર્શાવે છે કે બાંગ્લાદેશની નવી સરકાર હવે નવી દિલ્હી કરતાં બીજિંગ તરફ વધુ ઝૂકી રહી છે, જે દક્ષિણ એશિયાના ભૌગોલિક રાજકારણ માટે મોટો વળાંક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો:Donald Trump ટૂંક સમયમાં આવશે ભારત પ્રવાસે, વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કરી મોટી જાહેરાત

  • Follow us on: