ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવનો માહોલ સર્જાયો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની કડક દેખરેખ હોવા છતાં, પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના મેખલીગંજ બ્લોકમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોની સમયસૂચકતા અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના તાત્કાલિક એક્શનના કારણે એક મોટી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.
ઝિરો પોઈન્ટ પર અચાનક બાંગ્લાદેશીઓ એકઠા થવા લાગ્યા
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશના લાલમોનિરહાટ જિલ્લામાં આવેલી ઔલિયાહાટ બોર્ડર બરાબર ભારતીય સરહદની સામે આવેલી છે. શુક્રવારે સવારે આ વિસ્તારમાં ઝિરો પોઈન્ટ નજીક અચાનક કેટલાક બાંગ્લાદેશી નાગરિકો એકઠા થવા લાગ્યા હતા અને ધીમે-ધીમે તેમની સંખ્યા વધવા લાગી હતી. આ જોઈને સરહદી વિસ્તારના ભારતીય નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સેંકડોની સંખ્યામાં આવેલા આ લોકોએ ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
BSFએ મોરચો સંભાળ્યો, ઘૂસણખોરી નાકામ
સ્થાનિક લોકોએ ઝિરો પોઈન્ટ પર બાંગ્લાદેશીઓના જમાવડાની માહિતી તાત્કાલિક BSFને આપી હતી. માહિતી મળતાની સાથે જ BSFની અર્ધલશ્કરી દળોની એક વિશેષ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મોરચો સંભાળી લીધો હતો. BSFએ કડક વલણ અપનાવીને બાંગ્લાદેશીઓની ભારતની સરહદમાં ઘૂસવાની કોશિશને સંપૂર્ણપણે નાકામ કરી દીધી હતી. મેખલીગંજના ભાજપના ધારાસભ્યએ જણાવ્યું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોના એક જૂથે ત્રણ ભીઘા કોરિડોરના રસ્તે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને BSFએ નિષ્ફળ બનાવ્યો છે. સરહદ પર કોઈ પણ કિંમતે ઘૂસણખોરી ચલાવી લેવામાં આવશે નહીં.
શા માટે કૂચબિહાર બોર્ડર ઘૂસણખોરો માટે સોફ્ટ ટાર્ગેટ છે?
કૂચબિહાર જિલ્લો બાંગ્લાદેશ સાથે આશરે 549 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જે ભારતની સૌથી જટિલ અને સંવેદનશીલ બોર્ડર ગણાય છે. આ લાંબી સરહદમાં તીસ્તા, જલઢાકા, તોર્સા અને કાલજાની જેવી અનેક નદીઓ વહે છે, જ્યાં ફેન્સિંગ (તારની વાડ) લગાવવી અત્યંત મુશ્કેલ છે. નદીઓના કારણે આ ભૌગોલિક વિસ્તારોમાં રાતના અંધારામાં હોડીઓ દ્વારા ઘૂસણખોરી અને તસ્કરી સરળ બની જાય છે.
ઘૂસણખોરો સામે કડક ઝુંબેશ
હાલમાં બંગાળ સરકાર દ્વારા ઘૂસણખોરો સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ, સેંકડો બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય સરહદ પર વતન વાપસીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશ તેમને સ્વીકારવા તૈયાર નથી. હાલ સરહદ પર તણાવને જોતા BSFના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને સરહદ પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા કડક સર્વેલન્સ ગોઠવી દેવામાં આવ્યું છે. લોકાને પણ કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ પ્રશાસનને જાણ કરવા એલર્ટ કરાયા છે.
આ પણ વાંચો - TMC માં કોંકડું ગુચવાયું, મમતાની બેઠકમાં માત્ર 8 ધારાસભ્યો અને 6 સાંસદ













