ગયા અઠવાડિયે વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં આવેલી આ કુદરતી આફતે હજારો પરિવારોને રસ્તા પર લાવી દીધા છે. અત્યાર સુધીના સત્તાવાર અહેવાલ મુજબ, મૃત્યુઆંક 1,719 પર પહોંચી ગયો છે, જ્યારે 5,000 થી વધુ લોકો ઘાયલ છે. હજારો ઇમારતો ધરાશાયી થવાને કારણે સ્થિતિ અત્યંત ગંભીર છે. આવા કપરા સમયે, ભારત સરકારે માનવતાની મિસાલ પેશ કરતા 'ઓપરેશન એમિસ્ટાડ' શરૂ કર્યું છે.
ભારત વેનેઝુએલાની પડખે
આ અભિયાન અંતર્ગત, ભારતીય સેનાએ કારાકાસના લા રિંકોનાડા વિસ્તારમાં એક અત્યાધુનિક ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરી છે. આ હોસ્પિટલમાં ભારતીય તબીબી નિષ્ણાતો ચોવીસ કલાક ઘાયલોની સારવાર કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં વેનેઝુએલાના સ્થાનિક લોકોની આંખમાં ભારત પ્રત્યેની કૃતજ્ઞતા સ્પષ્ટ જોઈ શકાય છે.
લોકોએ ભારતનો માન્યો આભાર
એક વૃદ્ધ મહિલાએ સારવાર મેળવ્યા બાદ ભાવુક થઈને કહ્યું કે, "મેં મારા 60 વર્ષના જીવનમાં આવી ઉત્તમ અને સંવેદનશીલ તબીબી સેવા ક્યારેય જોઈ નથી." અન્ય એક નાગરિકે જણાવ્યું કે, ભારતીય હોસ્પિટલ તેમના માટે આશાનું નવું કિરણ બનીને આવી છે. સ્થાનિક પરિવારો સતત "આભાર, ભારત" કહીને ભારતીય સેનાના જવાનોની સેવાભાવી વૃત્તિના વખાણ કરી રહ્યા છે.
ભારતની મદદ વેનેઝુએલા માટે સંજીવની સમાન
ભારત સરકાર અને વેનેઝુએલાના દૂતાવાસે આ સહાયને દ્વિપક્ષીય સહયોગના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે વર્ણવી છે. ભારતે માત્ર હોસ્પિટલ જ નહીં, પરંતુ દવાઓ, રાહત સામગ્રી અને બચાવ કામગીરી માટે વિશેષ ટુકડીઓ પણ તૈનાત કરી છે. જ્યારે યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે મૃત્યુઆંક વધવાની ચેતવણી આપી રહ્યા છે અને આફ્ટરશોક્સનો ભય સતત મંડરાઈ રહ્યો છે, ત્યારે ભારતની આ ત્વરિત અને અસરકારક મદદ વેનેઝુએલાના લોકો માટે સંજીવની સમાન સાબિત થઈ રહી છે.
'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના સાર્થક
ભારતની આ પહેલ વિશ્વભરમાં 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાને સાર્થક કરે છે. કટોકટીના સમયે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર અન્ય રાષ્ટ્રની વહારે આવવું, એ ભારતની વિદેશ નીતિ અને માનવીય મૂલ્યોનું પ્રતીક છે. ઓપરેશન એમિસ્ટાડ એ માત્ર એક રાહત કાર્ય નથી, પરંતુ બે રાષ્ટ્રો વચ્ચેના અતૂટ સંબંધો અને માનવતાના નાતે બંધાયેલા મજબૂત નાતાનું પ્રતિક છે. વેનેઝુએલાના લોકો આજે ભારતના આ ઉપકારને ક્યારેય નહીં ભૂલે.
આ પણ વાંચોઃ Iran:ખામૈનીના જનાઝામાં યુરોપિયન દેશોને આમંત્રણ નહીં, 'ખોટા પક્ષે ઊભા રહેનારાઓને સન્માન નહીં'