મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વના અનેક દેશો પર તેની ઊંડી અસર પડી છે. લાંબા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલું પાકિસ્તાન પણ તેમાંથી બચી શક્યું નથી. ખાડી દેશોમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં લાગેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષથી મિડલ ઈસ્ટમાં જારી તણાવે પાકિસ્તાનના આર્થિક વિકાસને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમની સરકાર બંને પક્ષો વચ્ચે તણાવ ઘટાડવા અને પશ્ચિમ એશિયામાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પોતાના પ્રયાસો ચાલુ રાખશે.

તેલ આયાતનું બિલ વધતા અર્થતંત્ર પર દબાણ

રાજધાની ઈસ્લામાબાદમાં કેબિનેટ બેઠક દરમિયાન સંબોધન કરતા પીએમ શહબાઝે જણાવ્યું કે, સંઘર્ષ પહેલા પાકિસ્તાનની તેલ આયાત 300 મિલિયન ડોલર હતી જે હવે વધીને 800 મિલિયન ડોલર થઈ ગઈ છે. આ કારણોસર દેશના અર્થતંત્ર પર વધારાનું ભારણ પડ્યું છે. તેમણે ગયા અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે પેટ્રોલિયમ વપરાશમાં થયેલા ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સ્થિતિ પર ટાસ્ક ફોર્સની નજર

સત્તાવાર નિવેદન અનુસાર, પીએમ શહબાઝે જણાવ્યું કે ટાસ્ક ફોર્સ દરરોજ સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમણે પડકારોનો સામનો કરવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કેબિનેટ બેઠકમાં અમેરિકા-ઈરાન વાર્તામાં થયેલી પ્રગતિ અને પ્રાદેશિક સ્થિતિ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે, ઈસ્લામાબાદે સ્થિરતા વધારવા માટે પ્રામાણિક પ્રયાસો કર્યા છે. તેમણે જણાવ્યું કે 11 એપ્રિલે ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે 21 કલાક લાંબી વાતચીત ચાલી હતી, જે રાજદ્વારી દૃષ્ટિએ અત્યંત મહત્વની રહી છે.

સંઘર્ષવિરામ માટે પાકિસ્તાનના પ્રયાસો

પીએમ શહબાઝે કહ્યું કે પાકિસ્તાને આ વાતચીતની સફળતા માટે સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસીમ મુનીર, નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યા છે. આ અથક પ્રયત્નોને કારણે જ ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષવિરામ શક્ય બન્યો છે અને તે અત્યારે પણ અમલી છે.

ઈરાન તરફથી સકારાત્મક પ્રતિસાદની આશા

વડાપ્રધાને માહિતી આપી હતી કે ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પોતાની કેબિનેટ સાથે પાકિસ્તાન આવ્યા હતા અને અનેક તબક્કાની ચર્ચાઓ કરી હતી. અરાઘચીએ ખાતરી આપી છે કે ઈરાન પોતાના નેતૃત્વ સાથે સલાહ-મશવિરા કર્યા પછી ટૂંક સમયમાં સકારાત્મક જવાબ આપશે. પીએમ શરીફે આશા વ્યક્ત કરી હતી કે આ સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન હવે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની મધ્યસ્થી કરવાની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ઈરાન સાથેના સંઘર્ષવિરામને અનિશ્ચિત સમય માટે લંબાવીને શાંતિપૂર્ણ ઉકેલની આશા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો:New York:કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની રાજા બન્યા બાદ ન્યૂયોર્કની પ્રથમ મુલાકાત