બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત 17મા બ્રિક્સ સમિટ દરમિયાન પીએંમ નરેન્દ્ર મોદીએ વૈશ્વિક શાસન પ્રણાલી પર પોતાના વિચારો ખૂબ સ્પષ્ટતાપૂર્વક રજૂ કર્યા. તેમણે જણાવ્યું હતું કે 20મી સદીમાં રચાયેલી વૈશ્વિક સંસ્થાઓમાં બે તૃતીયાંશ માનવતાનું પ્રતિનિધિત્વ નથી અને જ્યાં સુધી નિર્ણય લેવાની પ્રક્રિયામાં ગ્લોબલ સાઉથના અવાજનો સમાવેશ નહીં થાય ત્યાં સુધી આ સંસ્થાઓ નિષ્ક્રિય રહેશે.
પીએમ મોદીએ બ્રિક્સનું આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ લુલાનો આભાર માન્યો અને કહ્યું કે અહીં આવીને મળેલી નવી ઉર્જાને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. તેમણે બ્રિક્સ પરિવારમાં જોડાવા બદલ ઇન્ડોનેશિયાને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે બ્રિક્સનું વિસ્તરણ અને નવા મિત્રોનું જોડાવું એ હકીકતનો પુરાવો છે કે બ્રિક્સ એક એવું સંગઠન છે જેણે સમય અનુસાર પોતાને બદલ્યું છે. હવે આપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, વિશ્વ વેપાર સંગઠન અને બહુપક્ષીય વિકાસ બેંકો જેવી સંસ્થાઓમાં સુધારા માટે સમાન ઇચ્છાશક્તિ બતાવવી પડશે.












