વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રીફિંગ દરમિયાન જે.ડી. વાન્સે કહ્યું કે, હું તેને યુદ્ધ નહીં કહું. સંઘર્ષ સમાપ્તી અંગે વાન્સે કહ્યું કે, આ પ્રશ્નનો જવાબ ખબર નથી. 

શું અમેરિકા લક્ષ્ય ચુક્યુ ?

અમેરિકાએ ઈરાનમાં લગ્ન સમારોહ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરી છે. આ હુમલામાં યુએસ હથિયારો સીધા સામેલ હોઈ શકે છે. અમેરિકાએ હજુ સુધી જવાબદારી સ્વીકારી નથી. યુએસના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે કહ્યું કે, યુએસ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સરકાર જાણવા માંગે છે કે શું થયું. વાન્સે કહ્યું કે, જો યુએસ સૈન્યએ ભૂલ કરી હોય, તો તે તેમાંથી શીખશે અને તેને સુધારવાનો પ્રયાસ કરશે.

હુમલામાં કેટલાના થયા મોત ? 

આ ઘટના 1 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ઈરાનમાં બની હતી. એક ઘરમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. ત્યારે એક શક્તિશાળી વિસ્ફોટ થયો. 22 વર્ષીય મહિલાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું, જેના કારણે મૃત્યુઆંક પાંચ થયો. ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, આશરે 70 લોકો ઘાયલ થયા હતા. આ હુમલો હોર્મુઝ સ્ટ્રેટના કિનારા નજીક સિરિક કાઉન્ટીના કુહેસ્તાક ગામમાં થયો હતો. અમેરિકાએ આ વિસ્તારમાં ભારે હવાઈ હુમલા કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.

શસ્ત્ર નિષ્ણાતોની તપાસ 

ચાર લશ્કરી શસ્ત્ર નિષ્ણાતોને ઘટનાના વીડિયો અને ફોટોગ્રાફ્સની તપાસ કરાવી હતી. તેમણે કહ્યું હતું કે, ઇમારતને થયેલા નુકસાન સીધા હથિયારના પ્રહાર સાથે સુસંગત હતું. નુકસાન રિકોચેટ અથવા બીજા લક્ષ્યને અથડાયા પછી વિચલિત થતી મિસાઇલ હોવાનું લાગતું નથી. ચારમાંથી ત્રણ નિષ્ણાતોએ કહ્યું કે આ શસ્ત્ર સંભવિત રીતે અમેરિકન હતું. ઈરાની હવાઈ સંરક્ષણ દ્વારા વિચલિત કરાયેલા મિસાઇલ નહીં. એક નિષ્ણાતે કહ્યું કે શસ્ત્ર તેના હેતુપૂર્વકના લક્ષ્યને ચૂકી ગયું હશે.

યુએસ હુમલા પછી તેલના ભાવમાં વધારો

યુએસએ ઈરાની દરિયાકાંઠે લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો. યુએસએ તેને હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જહાજો પરના હુમલાના પ્રતિભાવ તરીકે વર્ણવ્યું હતું. તેલના ભાવ વધ્યા હતા અને ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ $96 પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયું હતું. ઈરાને દાવો કર્યો હતો કે, યુએસ હુમલામાં 18 લોકો માર્યા ગયા હતા. જવાબમાં, તેણે ઇરાક, જોર્ડન, કતાર, કુવૈત અને બહેરીનમાં યુએસ થાણાઓ પર હુમલો કર્યો હતો. કુવૈતે કહ્યું હતું કે, તેના હવાઈ સંરક્ષણ દળોએ મિસાઇલો અને ડ્રોનને અટકાવ્યા હતા. 

આ પણ વાંચોઃ બલુચિસ્તાનમાં Pakistan Army પર બે ઘાતક હુમલા, 25 સૈનિક ઠાર