કતારના રાસ લાફાન ઔદ્યોગિક શહેરમાં રવિવારે સાંજે બનેલી એક ભયાનક દુર્ઘટનાએ સમગ્ર ભારતમાં શોકની લહેર પ્રસરાવી દીધી છે. રાસ લાફાન સ્થિત 'બરઝાન' ગેસ સપ્લાય પ્લાન્ટમાં ટેકનિકલ ખામીને પગલે થયેલા પ્રચંડ વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગમાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય 66 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


વહીવટી તંત્ર અને દૂતાવાસની સક્રિયતા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, દોહા સ્થિત ભારતીય દૂતાવાસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. દૂતાવાસે X (ટ્વિટર) પર સત્તાવાર નિવેદન જારી કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. ભારતીય અધિકારીઓ કતારના વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે જેથી મૃતકોના પાર્થિવ દેહોને વહેલી તકે તેમના વતન ભારત મોકલી શકાય. સાથે જ, ઘાયલ ભારતીય નાગરિકોની સ્થિતિ પર પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. કતારના ઉર્જા મંત્રી સાદ બિન શેરીદા અલ-કાબીએ જણાવ્યું હતું કે, પ્લાન્ટમાં રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ ગેસ લીકેજની સમસ્યા સર્જાઈ નથી, તેથી પર્યાવરણને કે આસપાસના રહેવાસીઓને કોઈ વધારાનો ખતરો નથી.

વિદેશ મંત્રી એસ. જયશંકરનું ટ્વિટ

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "રાસ લાફાનમાં થયેલા વિસ્ફોટમાં ભારતીય નાગરિકોના નિધનના સમાચારથી હું અત્યંત દુઃખી છું. અમારું દૂતાવાસ કતારના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે કાર્યરત છે. પીડિતોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના."

તપાસના અપાયા આદેશ

કતારના ગૃહ મંત્રાલયે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે. ટેકનિકલ ખામી કયા સ્તરે હતી અને સુરક્ષા પ્રોટોકોલ્સનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, તે અંગે વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. વિદેશમાં રોજીરોટી કમાવા ગયેલા ૧૨ ભારતીયોના અકાળે મોતથી તેમના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. આ દુર્ઘટના માત્ર એક ઔદ્યોગિક અકસ્માત નથી, પરંતુ તે સુરક્ષાના માપદંડો પર ફરીથી વિચારણા કરવા માટેની એક મોટી ચેતવણી પણ છે. સમગ્ર દેશ આ કપરા સમયમાં પીડિત પરિવારોની સાથે છે.

આ પણ વાંચોઃ Iran-US peace talks: ટ્રમ્પે હોર્મુઝ પર રહસ્ય વધાર્યુ, કહ્યુ કે 'હું શું કરવાનો છું તે અત્યારે નહીં કહું'

  • Follow us on: