ભારત અને કેનેડાએ તેમના સંબંધો સુધારવા માટે સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને તેમના કેનેડિયન સમકક્ષ નથાલી ડ્રોઈન વચ્ચેની વાતચીત બાદ બંને દેશો વચ્ચે આ કરાર થયો છે. દિલ્હીમાં થયેલી વાતચીત દરમિયાન, બંને પક્ષોએ આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા પર ખાસ ભાર મૂક્યો હતો.


આતંકવાદ વિરોધી કાર્યવાહી, ગુપ્ત માહિતીની આપ-લે થશે

ડોભાલ અને ડ્રોઈનની વાતચીતમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી, ગુપ્ત માહિતીની આપ-લે અને સંગઠિત ગુનાઓ સામે લડવા જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા. બંને દેશોએ પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો માટે એક સહિયારા અભિગમ પર પણ ભાર મૂક્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને કેનેડાના નેતાઓ વચ્ચે વિશ્વાસ બનાવવા અને સાથે મળીને કામ કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.

2023 માં સંબંધોમાં ખટાશ આવી

2023 માં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બગડેલા સંબંધોને સુધારવા તરફ આ વાતચીતને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. તે સમયે, કેનેડાના તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા.

બંને દેશોએ પરસ્પર વિશ્વાસ પુનઃનિર્માણ માટે કામ કરવાનું શરૂ કરશે

બંને દેશોએ પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા. હવે, બંને દેશોએ પરસ્પર વિશ્વાસ પુનઃનિર્માણ માટે કામ કરવાનું શરૂ કર્યું છે. G7 સમિટે દિલ્હીમાં NSA ડોભાલ અને નથાલી વચ્ચેની આ બેઠક માટેનો માર્ગ મોકળો કર્યો.

જૂનમાં સંબંધોમાં સુધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના પીએમ માર્ક કાર્ની જૂનમાં કેનેડાના કનાનાસ્કિસમાં G7 સમિટમાં મળ્યા હતા. તે બેઠકને સંબંધોને સ્થિર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવતું હતું. એપ્રિલમાં કાર્ની વડા પ્રધાન બન્યા ત્યારથી સંબંધોમાં સુધારો થવાની આશા જાગી છે. બંને દેશોએ પોતપોતાની રાજધાનીઓમાં નવા રાજદૂતોની નિમણૂક કરી છે, જેનાથી સંવાદ અને સહયોગનો એક નવો તબક્કો શરૂ થયો છે.

  • Follow us on: