નેપાળમાં તાજેતરમાં આવેલી ભયાનક કુદરતી આફત અને પૂરના કહેર વચ્ચેનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધસમસતી નદી અને કાટમાળના ભયાનક પ્રવાહ વચ્ચે આસપાસના પાકા મકાનો અને ગાડીઓ પત્તાના મહેલની જેમ વહી ગયા, જ્યારે લીલા રંગનું 2 માળનું મકાન મજબૂતીથી ઊભું રહ્યું. કુદરતના આ કહેર વચ્ચે આ ઘર આ રીતે સુરક્ષિત બચી જવું લોકો માટે કોઈ ચમત્કારથી ઓછું લાગતું નથી.

બાલ્કનીમાંથી જોતા રહ્યા તબાહીનો નજારો, પછી બચી જિંદગી

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કાદવવાળું પાણી ઝડપથી આખા વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. આ લીલા મકાનના નીચેના માળના દરવાજા અને બારીઓ પાણીના દબાણથી તૂટીને વહી ગયા, પરંતુ આખી ઈમારત જરાય હલી નહીં. આ દરમિયાન ઘરની ઉપરની બાલ્કનીમાં 3 લોકો લાચાર ઊભા રહીને પોતાની આંખો સામે તબાહીનો ભયાનક નજારો જોતા રહ્યા. રાહતની વાત એ રહી કે બાદમાં બચાવ ટીમે ઘણી મહેનત બાદ આ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.
https://x.com/SushilChetry/status/2093350767717654889

ચમત્કારિક મકાન વિશે સોશિયલ મીડિયા યુઝર્સે શું કહ્યું?

આ વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ તેના પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. યુઝર્સ આ ઘટના જોઈને ચોંકી ગયા છે અને પોતાની વાત કહી રહ્યા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે આ કુદરતની દયા સાથે ઉત્તમ સિવિલ એન્જિનિયરિંગનું પરિણામ છે. એક યુઝરે લખ્યું, જો પાયો મજબૂત હોય તો પૂર પણ તમારું કંઈ બગાડી શકે નહીં, આ મકાનના બિલ્ડરને સલામ છે. જ્યારે ઘણા લોકો તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી, મોત એટલી નજીક હતી છતાં જિંદગી જીતી ગઈ, આને કહેવાય જેને ભગવાન બચાવે તેને કોઈ મારી ન શકે. ઈન્ટરનેટ પર લોકો તેને તબાહીની વચ્ચે આશાની કિરણ અને મિરેકલ હાઉસ નામ આપી રહ્યા છે.

પૂરથી પરેશાન થયું નેપાળ

આ વાયરલ વીડિયો નેપાળમાં આવેલી એ ભયાનક આફતનો માત્ર એક નાનો ભાગ છે, જેણે હજારો લોકોના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા અચાનક પૂરનાં કારણે અનેક રસ્તા, પુલ અને સેંકડો ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. હાલ હજારો અસરગ્રસ્ત લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે, જ્યાં તેઓ પીવાના સ્વચ્છ પાણી, દવાઓ અને મૂળભૂત સુવિધાઓની અછતનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો-Nepal Disaster : ચીને હિમાલય સાથે એવું શું કર્યું, જેનું પરિણામ હવે ભોગવી રહ્યું છે નેપાળ?