પાકિસ્તાનમાં આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાન પોલીસ પાકિસ્તાન આર્મી સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. પોલીસકર્મીઓએ પખ્તુનખ્વા ક્ષેત્રમાં આતંકી પ્રવૃતિ અને દેશની અશાંતિ માટે સેનાને પણ જવાબદાર ઠેરવી છે.


એક બાજુ પાકિસ્તાનમાં ભૂખમરો અને બેરોજગારી, મોંઘવારી સહિત આતંકી હુમલાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ અને પોલીસ અધિકારીઓની ટાર્ગેટ કિલિંગ સામે લક્કી મારવત જિલ્લાના પોલીસકર્મીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે તેઓએ પાકિસ્તાની સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને લક્કી મારવત જિલ્લામાં પ્રવર્તતી અસુરક્ષા માટે પાકિસ્તાની સેનાને જવાબદાર ગણાવી હતી.


આ પહેલીવાર છે જ્યારે પોલીસે પાકિસ્તાન આર્મી વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે અને તેને વિસ્તારમાં અશાંતિ માટે જવાબદાર ઠેરવ્યું છે. લક્કી મારવત જિલ્લામાં છેલ્લા મહિનાથી આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે, ગયા અઠવાડિયે આતંકવાદીઓના ગોળીબારમાં પાંચ પોલીસ અધિકારીઓ શહીદ થયા હતા. જે બાદ પોલીસકર્મીઓમાં ગુસ્સો છે અને તેઓ સરકાર પાસે પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓના સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર 

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓએ સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને સરકારને તેમને હટાવવાની માંગ કરી. પોલીસકર્મીઓનું કહેવું છે કે જિલ્લામાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ માટે સેના જવાબદાર છે. તેમણે કહ્યું કે જો અહીંથી સેનાને પાછી ખેંચી લેવામાં આવે છે અને આતંકવાદ વિરુદ્ધ ઓપરેશનની સંપૂર્ણ જવાબદારી તેમને સોંપવામાં આવે છે, તો તેઓ ત્રણ મહિનામાં આતંકવાદીઓને ખતમ કરી દેશે.

પોલીસકર્મીઓએ વિરોધમાં પેશાવર-કરાચી સિંધુ હાઈવે પણ બંધ કરી દીધો હતો અને અધિકારીઓ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સિવાય પોલીસકર્મીઓએ તેમની ફરજ પર પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો છે અને અધિકારીઓ સાથે વાત કરવા માટે 6 સભ્યોની કમિટી બનાવી છે.

ખૈબર પખ્તુનખ્વાની સ્થિતિ વધુ ખરાબ

છેલ્લા કેટલાક મહિનામાં ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ સામે હુમલામાં વધારો થયો છે. ગયા મહિને જ કેટલાક આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કરીને ગોળીબાર કર્યો હતો અને 5 પોલીસ અધિકારીઓની હત્યા કરી હતી. જે બાદ અફઘાનિસ્તાનથી ઘૂસેલા આતંકવાદીઓના ગોળીબારમાં ત્રણ પોલીસકર્મીઓના મોત થયા હતા.

  • Follow us on: