• કાંઠા તે ગોરમાની મંગલ આરતી જેવા ગીતોથી શેરીઓ ગુંજી ઉઠી
  • આજથી પવિત્ર અધિક શ્રાવણ માસનો પ્રારંભ, શિવ મંદિરમાં શિવ પાર્થેશ્વર મહાપૂજા કરાશે
  • શહેરી અને ગ્રામીણ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે

અધિક શ્રાાવણ મહિનામાં મોટી ઉંમરની મહિલાઓ કાંઠા ગોરમાની પૂજા અર્ચના કરે છે. એક મહિનો ચાલતા અધિકમાસમાં ભગવાન વિષ્ણુ, કાંઠા ગોરમા, તેમજ શિવ-શક્તિની આરાધના કરવામાં આવે છે. અધિક માસે 'આંબુડુ જામ્બુડુ કેરીને કોઠીમડુ', કાંઠા તે ગોરમાની મંગલ આરતી જેવા ગીતોથી શેરીઓ ગુંજી ઉઠી. અધિક શ્રાવણ મહિના દરમ્યાન શિવાલયો હર...હર...મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે. દૂધ-દહીંથી શિવલિંગો પ્રક્ષાલિત કરવામાં આવશે અને બિલ્વપત્રો ચઢાવી શિવપૂજા કરવામાં આવશે. ત્રિદલમ્, ત્રિનેત્રમ્, ત્રિજન્મ પાપ સંહારકમ્ એકમ્ બિલ્વમ્ શિવમ્ અર્પણના સૂરથી શિવાલયો ગુંજશે.

અધિક માસ આવે ત્યારે શિવપૂજાનું મહત્વ 

પ્રાચીન કાળથી જ શ્રાવણ મહિના દરમ્યાન શિવપૂજાનું અનન્ય માહાત્મ્ય છે. જયારે પણ અધિક માસ આવે ત્યારે શિવપૂજાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. મંગળવારથી શિવાલયો શિવ ઉપાસકોથી ઉભરાશે. જો કે, સોમવારે સોમવતી અમાસ હોવાથી પણ મંદિરોમાં શિવજીનાં અર્ચન-પૂજન કરાયાં હતાં. આ સાથે અધિક પુરૂષોત્તમ માસ હોવાથી શિવજીની સાથે શક્તિની આરાધના કરાશે.

સવા લક્ષ શિવ પાર્થેશ્વર મહાપૂજાનું આયોજન 

મહેસાણા ખાતે કૃષ્ણના ઢાળમાં પાંચ લીમડી ખાતે આવેલા ગોવિંદ માધવ મંદિરમાં અધિક માસ દરમ્યાન સવા લક્ષ શિવ પાર્થેશ્વર મહાપૂજાનું આયોજન કરાયું છે. ગોવિંદ માધવ મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર તા.18-7-2023 થી તા.16-08-2023 સુધી સવાલક્ષ શિવ પાર્થેશ્વર મહાપૂજા ખૂબ જ ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક યોજવામાં આવશે. જેમાં મહાપૂજા સવારથી જ શરૂ થશે અને પૂજન સમય બપોરે 1.00 કલાકથી 4.00 કલાક સુધીનો રહેશે.


  • Follow us on: