- શિવાલયો શિવોહમ શિવોહમ- બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે
- ભાવિકજનો દ્વારા શિવલીંગ ઉપર બિલ્વપત્ર, જલાભિષેક, દુગ્ધાભિષેક, પંચામૃત્તાભિષેક કરાશે
- ભોળાનાથની કૃપા પામવાનો સોનેરી અવસર
આગામી મંગળવારથી પવિત્ર અધિક શ્રાવણમાસનો પ્રારંભ થનાર હોઇ શિવાલયો શિવોહમ, શિવોહમ, બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે. પૌરાણિક મહાદેવ, શિવાલયોમા વહેલી સવારથી આસ્થાળુઓ ઉમટી પડી શિવલીંગ ઉપર બિલ્વપત્ર, જલાભિષેક, દુગ્ધાભિષેક, પંચામૃત્તાભિષેક કરીને ભોળાનાથની કૃપા પામવા પ્રયત્નશીલ રહેશે. હિન્દુ ધાર્મિક પરંપરામા દેવાધિદેવ મહાદેવની પુજા-અર્ચના માટે શ્રાવણ માસનુ અનેરૂ મહત્વ પ્રસ્થાપિત થયુ છે. ત્યારે બીજી તરફ અધિક માસનુ પુરૂષોત્તમમાસ તરીકે ભગવાન વિષ્ણુની ઉપાસનાને લઇને ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્તા રહેલી હોઇ સોમવારે સોમવતી- હરિયાળી અમાસ, દિવાસાના પર્વ બાદ મંગળવારથી પવિત્ર અધિક શ્રાવણ માસનો પ્રારંભ થશે ભક્તો શિવમય બનશે.
પ્રત્યેક સોમવારે વહેલી સવારથી ભાવિકજનો શિવોહમ શિવોહમ, હરીઓમ, બમ બમ ભોલેના ગગનભેદી નાદથી ગુંજાવી ઉઠશે. આસ્થાળુઓ શિવલીંગ ઉપર બિલ્વપત્ર, જલાભિષેક, દુગ્ધાભિષેક, પંચામૃત્તાભિષેક, સુગંધિત દ્વવ્યોનો અભિષેક કરી દેવાધિદેવ સમક્ષ જીવનના ત્રિવિધ તાપોથી મુક્તિની કામના કરશે. મંદિરોમા રૂદ્રી, લઘુરૂદ્રી, મહારૂદ્રી, શિવયાગ., શિવમહિમન્નં સ્ત્રોતં, પ્રાત, મધ્યાહન, સાયં આરતી, પુજા-અર્ચના, શિવકથા, ભજન, સત્સંગ કિર્તન ઉપરાંત ગંભીર રોગના દર્દીઓના પરિવારજનો દ્વારા મહામૃત્યુંજય મંત્રના જાપ કરીને સ્વાસ્થ્ય પ્રાપ્તિ, દિર્ધાયુની કામના કરશે. સાથોસાથ ભગવાન શ્રાીકૃષ્ણ, ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપોની પણ વૈષ્ણવો, શ્રદ્ધાળુઓ દ્વારા પુજા-ઉપાસના, હિંડોળા, શણગાર, આરતી, છપ્પનભોગ અર્પણ, અન્નકુટ સહિતના કાર્યક્રમો યોજાશે.













