ગણેશ ચતુર્થી તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ તહેવાર ભગવાન ગણેશજીના જન્મ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થી તહેવારને લઈને બજાર અને ઘરોમાં રોનક દેખાવા લાગી છે. બજારમાં મીઠાઈ લેવા લોકોની લાંબી કતાર જોવા મળે છે. જો તમારે લાંબી કતારમાં ના ઉભા રહેવું હોય તો ઘરે જ બાપ્પાને પ્રિય મોતીચુર લાડુનો પ્રસાદ બનાવી શકો છો. નોંધી લો આ મિઠાઈ બનાવવાની રીત.


મોતીચુર લાડુ માટે સામગ્રી :

  • 1 કપ ચણા નો લોટ
  • ચપટી બેકિંગ સોડા
  • ચપટી ઓરેન્જ ફૂડ કલર
  • 1 કપ ખાંડ
  • 1 કપ પાણી
  • ચપટી ઓરેન્જ ફૂડ કલર
  • 1 ચમચી ઈલાયચી પાઉડર
  • ઘી તળવા માટે
  • બદામ અને પિસ્તાની કતરણ
  • ગુલાબની પાંખડી

મોતીચુર લાડુ બનાવવાની રીત :

બાપ્પાને પ્રિય મોતીચુર લાડુ બનાવા સૌ પ્રથમ શુદ્ધતા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું. તમે જે વાસણનો ઉપયોગ કરો અને જે સ્થાન પર બનાવો તે સ્વચ્છ હોવું જરૂરી છે. મોતીચુર લાડુ બનાવવા પહેલા ચણાના લોટને એક વાસણમાં ચાળી લો. પછી આ લોટમાં જરૂર મુજબ પાણી નાખી મીડીયમ થીક બેટર તૈયાર કરી તેને બરાબર હલાવો. ત્યારબાદ તેમાં ઓરેન્જ ફૂડ કલર એડ કરો. ત્યારબાદ એક ઉંડા વાસણમાં ઘી ગરમ કરવા મૂકો. અને ઘી ગરમ થાય ત્યારે ઝીણા કાણાવાળા ઝારાથી બુંદીને પાડીને તળી લો. (દરેક વખતે બુંદી પાડતી વખતે ઝારા ને ધોઈને ઉપયોગ કરો) બધી બુંદી પાડીને તૈયાર કરો. 

ચાસણી બનાવવા માટે :

બુંદી બનાવતા પહેલા તમે ચાસણી બનાવી શકો છો. ચાસણી બનાવવા માટે એક વાસણમાં પાણી ગરમ કરો અને પછી તેમાં ખાંડ નાખી આ પાણીને એક તારથી ઓછી ચાસણી થાય ત્યાં સુધી ગરમ ઉકાળો. તમે હાથ પર આ પાણી લઈ ચાસણીનો તાર ચકાશી શકો છો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર અને ઓરેન્જ ફૂડ કલર એડ કરો. પછી તૈયાર કરેલ બુંદીને ગરમ ચાસણીમાં નાખી પાંચ મિનિટ કુક થવા દો. પછી ગેસ બંધ કરી પાંચથી સાત મિનિટ ઠંડુ થવા દો. અને ઠંડુ થાય એટલે તેના લાડુ વાળી લો. તમે આ લાડુને વધુ સ્વાદિષ્ટ કરવા બદામ- પિસ્તાની કતરણ અને ગુલાબની પાંખડીથી ગાર્નીશ કરી શકો છો.

  • Follow us on: