• શ્રાદ્ધ અને પિંડ દાન માટે સૌથી યોગ્ય સ્થળ વારાણસી છે
  • શ્રાદ્ધ કરવા માટે બિહારમાં ગયા ધામ સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંથી એક
  • શ્રાદ્ધ વિધિ અને પિંડ દાન માટે સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંનું એક રાજસ્થાનનું પુષ્કર

પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023 થી શરૂ થયો છે. પિતૃ પક્ષ દરમિયાન પિંડ દાન અને પિતૃઓની શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં પિંડ દાન અને શ્રાદ્ધ વિધિ પૂર્વજોની આત્માઓને શાંતિ અને મોક્ષ પ્રદાન કરવા માટે કરવામાં આવે છે. મૃત્યુ પછી વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે, જેમાં શ્રાદ્ધ, અસ્થિ વિસર્જન અને પિંડ દાન સાથે સંબંધિત ધાર્મિક વિધિઓ સામેલ છે. તેનો હેતુ પૂર્વજો અથવા મૃતકોની આત્માઓની શાંતિ અને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. ભગવાન બ્રહ્માએ આ પ્રથા શરૂ કરી હોવાનું માનવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ અને પિંડ દાન કરવા માટે દેશમાં ઘણી જગ્યાઓ છે, જે આત્માની મોક્ષ પ્રાપ્તિ માટે યોગ્ય માનવામાં આવે છે. પિંડ દાન હરિદ્વારથી સંગમ, ગયા અને બદ્રીનાથ સુધી કરી શકાય છે. ચાલો જાણીએ પિંડ દાન માટે ભારતમાં પાંચ મહત્વપૂર્ણ સ્થાનો કયા છે.

વારાણસી

ઉત્તર પ્રદેશનું કાશી શહેર ભગવાન ભોલેનાથનું પ્રિય સ્થળ માનવામાં આવે છે. વારાણસીમાં ભગવાન શિવનું ભવ્ય મંદિર આવેલું છે, જે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં ભોલેનાથને કાશી વિશ્વનાથ તરીકે પૂજવામાં આવે છે. કાશી પવિત્ર ગંગા નદીના કિનારે આવેલું છે. પિંડ દાન બનારસના ગંગા ઘાટ પર કરવામાં આવે છે. તે શ્રાદ્ધ અને પિંડ દાન માટે સૌથી યોગ્ય સ્થળ માનવામાં આવે છે.

ગયા

પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવા માટે બિહારમાં ગયા ધામ સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંથી એક છે. દેશભરમાંથી લોકો અહીં પોતાના પૂર્વજોને પિંડ દાન આપવા આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી હરિનો અવતાર એટલે કે વિષ્ણુ ફાલ્ગુ નદીના કિનારે નિવાસ કરે છે. આ કારણથી આ પવિત્ર નદીમાં ડૂબકી લગાવવાથી પાપ દૂર થાય છે અને પવિત્ર સ્થાન પર પિંડ દાન અર્પણ કરવાથી પિતૃઓના દુ:ખમાંથી મુક્તિ મળે છે.

પુષ્કર

શ્રાદ્ધ વિધિ અને પિંડ દાન માટે સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંનું એક રાજસ્થાનમાં પુષ્કર છે. ભગવાન બ્રહ્માનું એકમાત્ર મંદિર પુષ્કરમાં સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે અહીં સ્થિત પવિત્ર તળાવ ભગવાન વિષ્ણુની નાભિમાંથી નીકળે છે. આ સરોવરમાં સ્નાન કરવાથી જ પાપોમાંથી મુક્તિ મળે છે. આસો મહિનામાં પુષ્કરમાં પિંડ દાન સમારોહનું આયોજન કરવામાં આવે છે.

બદ્રીનાથ ધામ

બદ્રીનાથ ધામ ઉત્તરાખંડનું પવિત્ર યાત્રાધામ ભારતના પ્રાચીન અને પ્રસિદ્ધ ચાર ધામમાંનું એક છે. બદ્રીનાથ ધામ મંદિર અલકનંદા કિનારે આવેલું છે, જ્યાં બ્રહ્મા કપાલ ઘાટ છે. આ ઘાટ પર પિંડ દાન કરવું શુભ માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ મેળવવા માટે બદ્રીનાથ ધામની મુલાકાત લઈ શકાય છે.

અયોધ્યા

ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામોમાંનું એક શ્રી રામ જન્મભૂમિ છે, જે અયોધ્યામાં સ્થિત છે. ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. અયોધ્યા સરયુ નદીના કિનારે આવેલું છે. પિતૃ પક્ષના અવસરે સરયુના કિનારે પિતૃઓના શ્રાદ્ધ અને પિંડદાન માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અહીં પંડિતો વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરે છે. 

  • Follow us on: