- બેંકોમાં રૂ. 2000ની નોટ બદલાવાનો આજે અંતિમ દિવસ
- 7 ઓક્ટોબર પછી RBIમાં 2000ની નોટ જમા કરાવી શકાશે
- 2000ની 96 ટકા નોટો બેંકોમાં પરત આવી
જો તમારી પાસે હજુ પણ બે હજાર રૂપિયાની નોટો છે, તો તેને બદલીને તમારા ખાતામાં જમા કરવાની આજે છેલ્લી તક છે. 7 ઑક્ટોબર એટલે કે આજ પછી બે હજાર રૂપિયાની નોટો ન તો બદલી શકાશે કે ન તો બેંકોમાં જમા કરાવવામાં આવશે. જોકે, RBIની 19 બ્રાન્ચમાં જમા કરાવી શકાશે. જે લોકો બ્રાન્ચમાં જઈ શકતા નથી તેઓ પોસ્ટ દ્વારા નોટ બદલી શકશે.
12,000 કરોડની નોટો પરત કરવાની બાકી
આરબીઆઈએ કહ્યું કે, 96 ટકા એટલે કે રૂ. 3.43 લાખ કરોડના મૂલ્યની રૂ. 2,000ની નોટો બેન્કોમાં પાછી આવી છે. તેમાંથી 87 ટકા નોટો જમા કરવામાં આવી છે, જ્યારે 13 ટકા નાની કિંમતની નોટો સાથે એક્સચેન્જ કરવામાં આવી છે. જોકે, 3.37 ટકા એટલે કે 12,000 કરોડ રૂપિયાની નોટો હજુ પણ બજારમાં છે.
આરબીઆઈએ બેંકોમાં 2,000 રૂપિયાની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી હતી. પરંતુ આરબીઆઈએ નોટો બદલવા અને તેને ખાતામાં જમા કરવાની તારીખ વધારીને 7 ઓક્ટોબર કરી હતી. આ વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી લોકોએ બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી અને પરત પણ કરાવી. જોકે શરૂઆતના દિવસો સિવાય આ સમયગાળા દરમિયાન બેંકોમાં વધુ ભીડ જોવા મળી ન હતી.
2000 રૂપિયાની બેંક નોટો ક્યાં માન્ય રહેશે
RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 7 ઓક્ટોબર પછી પણ 2000 રૂપિયાની નોટો માન્ય રહેશે. અદાલતો, કાયદા અમલીકરણ એજન્સીઓ, સરકારી વિભાગો અથવા જાહેર સત્તાવાળાઓ તપાસ અથવા કાર્યવાહી દરમિયાન જ્યારે જરૂર પડે ત્યારે કોઈપણ મર્યાદા વિના RBIની 19 બ્રાન્ચમાં રૂ. 2000ની બેંક નોટ જમા કરાવી શકશે.
19 મે 2023ના રોજ 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી
બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી 3.56 લાખ કરોડ રૂપિયાની 2000 બેંક નોટોમાંથી 3.42 લાખ કરોડ રૂપિયાની નોટો બેંકોને પરત કરવામાં આવી છે. આમ, 19 મે 2023ના રોજ ચલણમાં આવેલી રૂ. 2000ની 96% નોટ હવે બેંકોમાં પાછી આવી ગઈ છે.